21 March, 2018

ભારત વર્લ્ડ ક્લાસ ટેક કંપની કેમ ઊભી ના કરી શકે?


ઈન્ડિયન કલ્ચરમાં સફળતાનો માપદંડ એકેડેમિક એક્સલન્સ પર આધારિત છે. અહીં સફળતા એટલે ભણો, શીખો, પ્રેક્ટિસ કરો અને સારી જોબ લઈને સારું જીવન જીવો. અહીં પણ ઘણું ખરું સિંગાપોર જેવું જ છે. ભણો અને ભણો, સખત કામ કરો, એમબીએ કરો, તમારી પાસે મર્સીડિઝ હોવી જોઈએ, પણ ક્રિએટિવિટી ક્યાં છે? તમારું વર્તન પ્રેડિક્ટેબલ થઇ જાય ત્યારે ક્રિએટિવિટી ખતમ થઇ જાય છે. અહીં બધા જ સરખા છે...

એપલના કો-ફાઉન્ડર સ્ટિવ વોઝનિયાક ગયા મહિને નવી દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભાગ લેવા આવ્યા ત્યારે તેમણે આ વાત કરી હતી. કેટલાકે વોઝનિયાકના નિવેદનને વખોડયું, તો કેટલાકે ઓવર સિમ્પ્લિફિકેશન કરીને કોરસ ગાન શરૂ કર્યું કે, વોઝનિયાક ઈઝ રાઈટ. અહીં કોઇ રિસ્ક લેતું નથી, કોઈ એક્સપિરિમેન્ટ્સ કરતું નથી અને એ દિશામાં ખાસ કોઇ ડેવલપમેન્ટ પણ નથી... વગેરે વગેરે. વોઝનિયાકે મીડિયા સાથેની વાતચીતમાં ટેક્નોલોજી કંપનીઓના સંદર્ભમાં આ મુદ્દો ઉપાડયો હતો. એ પણ ખૂબ સાહજિકતાથી અને બિલકુલ કડવાશ વિના. તેમણે કહ્યું પણ ખરું કે, હું કંઈ પુરાતત્ત્વવિદ નથી. હું ભારતીય સંસ્કૃતિને સારી રીતે જાણતો નથી, પરંતુ ભારતીય ટેક કંપનીઓ કંઇ કાઠું કાઢી રહી હોય એવું મને દેખાતું નથી. અહીં મોટી કંપની કઇ છે, કદાચ ઇન્ફોસીસ? પરંતુ ઇન્ફોસીસમાં કશું ક્રાંતિકારી કામ નથી રહ્યું અને આ વાત હું પહેલાં પણ ત્રણ વાર કરી ચૂક્યો છું...

આ મુદ્દે વોઝનિયાકની ઝાટકણી કાઢીને આખા મુદ્દાનું ઓવર સિમ્પ્લિફિકેશન નથી કરવું. આપણને ખરેખર એવો સવાલ થવો જ જોઈએ કે, ભારતમાં ટેક્નોલોજી કંપનીઓ કેમ સફળ નથી થતી? માનવ જીવનને બદલી નાંખે એવી ટેક્નોલોજી લાવવામાં ભારત કેમ સરેઆમ નિષ્ફળ છે? અહીં આપણે આ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરીશું. લેટ્સ સ્ટાર્ટ.  

એપલ શરૂ કરી ત્યારે સ્ટિવ વોઝનિયાક અને સ્ટિવ જોબ્સ 

ભારતની ઈન્ફોસીસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ પ્રા. લિ. જેવી મહાકાય આઈટી કંપનીઓનું ટેક્નોલોજીમાં પ્રદાન નહીંવત છે. વાત સાચી. છેલ્લાં કેટલાક સમયમાં આઈટી કંપનીઓના રિસર્ચ અને ઈનોવેશનના કારણે માણસના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે, પરંતુ ૨૦૧૭ના ફોર્ચ્યુન ૫૦૦ કંપનીની યાદીમાં ફક્ત સાત ભારતીય કંપની છે અને એમાંની ત્રણ પ્રાઈવેટ છે: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ અને રાજેશ એક્સપોર્ટ્સ. આ ત્રણમાંથી એકેયે ટેક્નોલોજી કંપની નથી. અહીં ટેક કંપનીનો અર્થ સમજવા જેવો છે. આ પ્રકારની કંપનીઓ માનવજીવનમાં ધરખમ ફેરફારો કરવા કોઇ ક્રાંતિકારી સંશોધન કરે છે, ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે અને એ માટે વધુને વધુ પૈસા ખર્ચે છે.

આવી કંપનીની વાત થાય એટલે સૌથી પહેલાં મગજમાં લેરી પેજ અને સર્ગેઇ બ્રિનની ગૂગલ કે બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટનું નામ દિમાગમાં આવે. ઇલોન મસ્કની ટેસ્લા પણ એવી જ કંપની છે. ઈન્ટરનેટની મદદથી આખું વિશ્વ માઉસની ક્લિક પર આપી દીધા પછી ગૂગલ ડ્રાઇવરલેસ કારથી લઇને એવા સંખ્યાબંધ પ્રોજેકટ્સ પર કામ કરે છે, જે માણસનું જીવન બદલી નાંખશે. માઇક્રોસોફ્ટ વર્ચ્યુઅલ રિયાલિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દિશામાં કામ કરી રહી છે. ટેસ્લા આખી દુનિયાનું ટ્રાન્સપોર્ટેશન સરળ બનાવવા તનતોડ મહેનત કરી રહી છે. ડેલ કમ્પ્યુટર્સ કે એપલે કન્ઝ્યુમર ડિઝાઇનિંગના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું છે. એપલ પાસે તો ૯,૮૦૦ ડિઝાઇનિંગ પેટન્ટ છે. દુનિયાની ૪૧ ટકા પેટન્ટ તો એકલા અમેરિકા પાસે છે, ૨૮ ટકા સાથે જાપાન બીજા નંબર છે અને ત્રીજા નંબરે ૧૫ ટકા સાથે નાનકડું દક્ષિણ કોરિયા છે.

તો ભારતીય કંપનીઓ ક્યાં કાચી પડે છે? આ મુદ્દો સમજવા આપણે સિમ્પ્યુટરનું ઉદાહરણથી લઇએ. ભારતીય વિજ્ઞાની ડૉ. સ્વામી મનોહરની આગેવાનીમાં સાત વિજ્ઞાનીએ પર્સનલ કમ્પ્યુટરનો વિકલ્પ બની શકે એવું હેન્ડી કમ્પ્યુટર વિકસાવ્યું, જેનું નામ હતું સિમ્પ્યુટર. સિમ્પ્યુટર વિકસાવવા નવેમ્બર ૧૯૯૯માં સિમ્પ્યુટર ટ્રસ્ટ પણ બનાવાયું હતું. આ ટ્રસ્ટનો હેતુ જ સસ્તું કમ્પ્યુટર વિકસાવીને ભારતમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનો હતો. બજારમાં આવતા જ ૫૦ હજાર સિમ્પ્યુટર વેચાઇ ગયા. કર્ણાટકે જમીનોના રેકોર્ડ તૈયાર કરવા, નાની લોનોનું દસ્તાવેજીકરણ કરવા અને છત્તીસગઢે ઇ-એજ્યુકેશન માટે સિમ્પ્યુરનો ઉપયોગ કર્યો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ઓટોમોબાઇલ એન્જિનની ખામીઓ શોધવા અને ગોવાએ ખાણકામમાં ટ્રેકિંગ કરવા સિમ્પ્યુટરનો ઉપયોગ શરૂ કર્યો. અનેક રાજ્યોએ ટ્રાફિક ગુનો કરતા લોકોને શોધવા અને મેમો ફાડવા ટ્રાફિક પોલીસને સિમ્પ્યુટર આપ્યા. યુકે અને ઘાના વચ્ચે ઇલેક્ટ્રોનિક મની ટ્રાન્સફરમાં પણ સિમ્પ્યુટરનો ઉપયોગ શરૂ થયો.

સ્ટિવ વોઝનિયાક ભારત આવ્યા ત્યારે

ટૂંકમાં, મની ટ્રાન્સફરથી લઈને દસ્તાવેજીકરણ અને વેધર, ખેડૂતોને મદદ કરવા કોમોડિટી પ્રાઈઝિંગ જેવા ક્ષેત્રમાં સિમ્પ્યુટરે ધમાકો મચાવી દીધો. આ સ્ટાઇલિશ ફૂલ્લી ટચસ્ક્રીન ગેજેટને 'ન્યૂયોર્ક ટાઇમ્સ'એ ૨૦૦૧નું 'કમ્પ્યુટર ટેક્નોલોજીની દુનિયાનું સૌથી મહત્ત્વનું ઇનોવેશન' ગણાવ્યું હતું. જોકે, શરૂઆતમાં મળતી અણધારી સફળતાથી જીવનભર સફળતા નથી મળ્યા કરતી. સિમ્પ્યુટરના સર્જકો પણ હોશિયાર જ હતા, તેમનો હેતુ સારો હતો પણ ૨૦૦૬માં સિમ્પ્યુટરનું ઉત્પાદન બંધ કરવું પડયું. કેમ ખબર છે? કારણ કે, તેમની પાસે ઉત્તમ ગુણવત્તા ધરાવતું હાર્ડવેર ઉત્પાદન કરવા મૂડી જ નહોતી. ભારતીયો ધર્મના નામે અબજોનું દાન કરે છે પણ રિસર્ચ-ઇનોવેશન માટે આપણા વિજ્ઞાનીઓ પાસે મૂડીનો સતત અભાવ હોય છે. સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ખ્યાલ ધરાવતા સ્ટાર્ટ અપને વેન્ચર કેપિટલિસ્ટ મળતા નથી. ભલે પછી તે ગમે તેવા સોશિયો-ઇકોનોમિક પરિવર્તનો કરવા સક્ષમ હોય. આપણને ફક્ત ઇશ્વરમાં શ્રદ્ધા છે પણ જીવતા જાગતા માણસોમાં નહીં.

આ સ્થિતિમાં ઇનોવેશન કરીને માર્કેટમાં કેવી રીતે ટકી શકાય? ભારતની પણ એકેય કંપનીએ સિમ્પ્યુટરને બચાવવાનો પ્રયાસ ના કર્યા. આપણી કંપનીઓની 'કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી'ના ખયાલાત ગ્લોસી પેજમાં તૈયાર કરેલા એન્યુઅલ રિપોર્ટની રંગીન તસવીરોમાં કેદ છે. સિમ્પ્યુટર પ્રોજેક્ટની નિષ્ફળતા હજુયે પ્રસ્તુત છે. એક કંપનીને માર્કેટમાં ટકી રહેવા મૂડી જોઈએ અને સ્કિલ્ડ વર્કર્સનો ફોર્સ જોઇએ. જો એવું હોય તો જ પ્રોડક્ટમાં ક્રાંતિકારી સુધારા થઈ શકે. ભારતીય કંપનીઓના કર્તાહર્તાઓ આ સ્થિતિમાં ઘી હોમવાનું કામ કરે છે. તેઓ પશ્ચિમી દેશોના કોર્પોરેટ્સ કરતા પણ વધુ મની માઈન્ડેડ છે. આ લોકો સ્માર્ટ બિઝનેસના નામે રિસર્ચ કરતા નથી અને કરવા દેતા નથી. તેમને ઝડપી અને વધુ રિટર્ન જોઇએ છે. રિસર્ચ માટે કરાતો ફિઝુલ ખર્ચ તો કંપનીની બેલેન્સ શીટ બગાડવા બરાબર છે. ભારતીય કંપનીની જેમ, એક સરેરાશ ભારતીય પણ આવી જ માનસિકતા ધરાવે છે. આ લોકો પર શેરબજાર હાવી છે.

ભારતમાં ટેક કંપનીઓનો વિકાસ નહીં થવા માટે બીજું પણ એક મહત્ત્વનું કારણ છે. ભારતની આઝાદીને ફક્ત ૭૦ વર્ષ થયા છે અને આટલા વર્ષોમાં આપણી પાસે ખાસ કોઈ મૂડી ઊભી થઈ નથી. ઊલટાનું,  અંગ્રેજોએ ભારતના અર્થતંત્રને જબરદસ્ત ફટકા માર્યા પછી આપણને આઝાદી આપી હતી, જ્યારે પશ્ચિમના વિકસિત દેશો દાયકાઓથી જંગી મૂડી ઊભી કરી રહ્યા છે. ભારતની તો વસતી પણ સતત વધી રહી છે, જે બહુ જ મોટા મધ્યમ અને ગરીબ વર્ગને જન્મ આપી રહી છે. વસતીની સાથે મોંઘવારી પણ વધી રહી છે અને એટલે જ આપણા દેશમાં પૈસો સામાન્ય માણસને સુરક્ષાની ભાવના આપે છે. આપણું માળખું કુટુંબલક્ષી છે. ભારતનું સામાજિક માળખું પણ યુવાનોને ફક્ત 'સેટલ' થવાનું પ્રોત્સાહન આપે છે. વળી, સંતાનોને સારું ભણાવીને સેટલ કરવાની જવાબદારી માતા-પિતાની છે અને સંતાનો પાસે અપેક્ષા રખાય છે કે, તેઓ ઘડપણમાં મા-બાપની સારસંભાળ રાખે.

સ્વામી મનોહર સિમ્પ્યુટર સાથે 

એવી જ રીતે, પશ્ચિમના વિકસિત દેશોમાં નાગરિકોની મૂળભૂત ‘જવાબદારી’ સરકારો લે છે. તેઓ માટે 'પૈસો એ જ પરમેશ્વર' ના હોય એ સમજી શકાય છે. પૈસો સુખ નથી ખરીદી શકતો એ કિતાબી વાતો છે. વ્યાસપીઠ પર બેસીને આ પ્રકારના ઉપદેશો આપવા સહેલા છે, પરંતુ એક સામાન્ય માણસો આ બધી વાતો એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે છે. ચપોચપ વેચાતા પુસ્તકો પર નજર કરી જોજો. આજના યુવાનોને ઝડપથી સફળ થવાની અને કરોડપતિ થવાની ટીપ્સ વધારે આકર્ષે છે.

આપણી યુનિવર્સિટીઓ પણ એ જડ સામાજિક માળખું તોડવામાં મદદ કરવાના બદલે રિસર્ચ, પ્રેક્ટિકલને નહીં પણ જોબ પ્લેસમેન્ટને મહત્ત્વ આપે છે. સ્કૂલોમાં ગૂગલ પર સર્ચ કરતા શીખી ગયા પણ 'ઇન્ફોર્મેશન પોલ્યુશન'ના જમાનામાં હીરા અને કાંકરા જુદા કરવાની દિશા યુનિવર્સિટીઓએ બતાવવાની હોય. જો કોઈ એન્જિનિયરો કંઈક નવું કરવા માંગતા હોય તો ભારતમાં તેમને યોગ્ય વાતાવરણ જ નથી મળતું, જેથી તેઓ વિદેશી કંપનીઓમાં કામ કરવા જતા રહે છે. જેમ કેગૂગલમાં સુંદર પિચાઇ. જો એ દુ:ખી થવા જેવી બાબત નથી તો ખુશ થવા જેવી બાબત પણ નથી જ. 'ટાઈમ્સ હાયર એજ્યુકેશન'ના યુનિવર્સિટી રેન્કિંગ રિપોર્ટ પ્રમાણે, ટોપ ૨૦૦ યુનિવર્સિટીમાં ભારતની એક પણ નથી. ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ-બેંગલુરુ જેવી ઈન્સ્ટિટટયુટનો નંબર પણ ૨૫૦થી ૩૦૦ની વચ્ચે આવે છે. આપણે બધી બાબતમાં ચીન સાથે સરખામણી કરીએ છીએ પણ ચીનની બે યુનિવર્સિટી ટોપ ૩૦૦માં છે અને સાત ટોપ ૨૦૦માં છે.

ભારતનો જીડીપી ૧૯૯૦ સુધી ચીનના જીડીપીના ૮૩ ટકા જેટલો હતો, જ્યારે ૨૦૧૧ સુધીમાં આ આંકડો ૪૩ ટકાએ પહોંચી ગયો હતો. ચીનને આ સફળતા રાતોરાત નથી મળી. ચીન સજ્જડ યુનિવર્સિટી સિસ્ટમ ઊભી કરવામાં સફળ રહ્યું હોય તો જ અલીબાબા, હ્યુઆવેઇ અને ટેન્સેન્ટ હોલ્ડિંગ જેવી કંપનીઓ ઊભી થઈ શકે. આ કારણસર ચીન વૈશ્વિક અર્થતંત્રમાં પણ ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ચીન ભારતની જેમ ફક્ત 'બજાર' નથી પણ દાયકાઓથી મેન્યુફેક્ચરિંગ હબ છે. કદાચ એટલે જ ચીનના સ્કિલ્ડ વર્કર સારી રીતે જાણે છે કે, આજના જમાનાની જરૂરિયાત શું છે. જેમ કે, આઈ ફોનનું ઉત્પાદન પણ ચીનમાં થાય છે. અમેરિકાની વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ચાઈનીઝ વિદ્યાર્થીઓની સંખ્યા પણ ભારત કરતા બે ગણી છે. ગ્લોબલ ટેલેન્ટેડ વર્ક ફોર્સમાં ભારત કરતા ચીનની ભાગીદારી વધારે છે. ચીન પાસે ભારત કરતા અનેકગણા વધારે આંત્રપ્રિન્યોર છે, જે નોકરી કરવાનું નહીં નોકરીઓ કેવી રીતે ઊભી કરીએ એ દિશામાં વિચારે છે. ફોર્ચ્યુન ૫૦૦ યાદીમાં ચીનની ૧૧૫ કંપની છે.     

ખેડૂતોથી લઈને ટ્રાફિક પોલીસ પાસે સિમ્પ્યુટર 

આઝાદી પછીના સાત દાયકામાં ભારત તેની 'વૈવિધ્યસભર' મુશ્કેલીઓ સામે લડી લડીને ઘણું આગળ વધ્યું છે. એ માટે આપણા ખૂબ સમય અને પૈસા ખર્ચાયા છે, પરંતુ હવે ફક્ત ને ફક્ત મજબૂત શિક્ષણ પદ્ધતિ પાછળ સંપૂર્ણ શક્તિ ખર્ચવાનો સમય આવી ગયો છે. નવી નવી મુશ્કેલીઓ ઊભી કરીને દેશની મહામૂલી મૂડી વેડફવાનું આપણને પોસાય એમ નથી. આ વાત સમજવા રોકેટ સાયન્ટિસ્ટ નહીં પણ સજ્જ નાગરિક હોઇએ એટલું કાફી છે.

આશા રાખીએ કે, ભારતમાં ઝડપથી આ પરિવર્તનનો પવન ફૂંકાય અને એ જોવા વોઝનિયાક જીવતા હોય!

05 March, 2018

આઝાદી પહેલાના એ છ દિવસઃ એક ભૂલાયેલું આંદોલન


૧૮મી ફેબ્રુઆરી, ૧૯૪૬ના રોજ બોમ્બે ડોકયાર્ડમાં લાંગરેલા રોયલ ઈન્ડિયન નેવીના જહાજ 'એચએમઆઈએસ તલવાર' પર તૈનાત ભારતીય સૈનિકોની સવાર વહેલી પડી ગઈ હતી. તલવાર એક સિગ્નલ ટ્રેઇનિંગ શિપ હતું. એ દિવસની સવારનો ઉચાટિયો માહોલ કંઈક અસામાન્ય થવાના સંકેત આપી રહ્યો હતો. ત્યાં તો બપોર થતાં જ ભારતીય સૈનિકોએ બ્રિટીશરો સામે આક્રમકતાથી વિરોધની ચિનગારી ફૂંકી અને થોડા સમયમાં આખુ બોમ્બે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું. બોમ્બેમાં ફાટી નીકળેલી એ આગ જોતજોતામાં અખંડ હિંદુસ્તાનના કરાચીથી કોલકાતા અને વિઝાગ, મદ્રાસ અને કોચિન સુધી ફેલાઇ ગઇ. ક્રાંતિના એ હુતાશને આઝાદીના ભભૂકતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ થોડો સમય ગરમી આપવાનું કામ કર્યું હતું.

માંડ છ દિવસ ચાલેલા એ આંદોલને મહાન સંગીતકાર-ગીતકાર સલીલ ચૌધરીથી લઈને સલમાન રશદી જેવા લેખકના સર્જનને પણ પ્રભાવિત કર્યું હતું. ઉત્પલ દત્તે તો એ ઘટના પરથી એક નાટક લખીને જેલવાસ પણ ભોગવ્યો હતો. હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર આનંદ બક્ષી તેમજ જેમ્સ બોન્ડના સર્જક ઇયાન ફ્લેમિંગે જેમના પરથી બોન્ડના બોસ 'એમ'નું પાત્ર સર્જ્યું હતું એ બ્રિટીશ લશ્કરી અધિકારી પણ આ ઘટનાનો સાક્ષી હતો.

કઈ હતી એ ઘટના?

બોમ્બે ટુ કરાચી, કોલકાતા અને મદ્રાસ

આઝાદી પહેલાના ભારતના બીજા વિભાગોની જેમ રોયલ ઈન્ડિયન નેવીમાં પણ સૈનિકોથી માંડીને નાના-મોટા અધિકારીઓ ભારતીયો હતા, પરંતુ એ બધાના ઉચ્ચ અધિકારી તરીકે તુમાખીબાજ બ્રિટીશરો હતા. ઉચ્ચ બ્રિટીશ અધિકારીઓ ભારતીય સૈનિકો સાથે ખુલ્લેઆમ રંગભેદી વર્તન કરતા, તેમને ભોજન પણ બ્રિટીશરો કરતા ઉતરતી કક્ષાનું પીરસાતું અને ભારતીય સૈનિકોની રહેવાના સ્થળ પણ ગંદા-ગોબરા રહેતા. આ દરમિયાન ૧૬મી જાન્યુઆરી ૧૯૪૬ના રોજ થાણેમાં તૈનાત 'એચએમઆઈએસ અકબર' યુદ્ધજહાજના ૬૭ સૈનિકો સ્વયંભૂ ભેગા થયા. તેમણે ફોર્ટ મુંબઈના મિન્ટ રોડ પર આવેલા કેસલ બરાકમાં જઇને ઉચ્ચ બ્રિટીશ અધિકારીઓને ઉતરતી કક્ષાના ભોજન સહિત વિવિધ ફરિયાદો કરી, પરંતુ બ્રિટીશરોએ હંમેશાની જેમ તેમને ઉડાઉ જવાબ આપીને રવાના કરી દીધા. બ્રિટીશરો સામાન્ય રીતે આવું જ વર્તન કરતા, અને, તેના કારણે ભારતીય સૈનિકોમાં ધીમે ધીમે અન્યાયની ભાવના ઘર થઈ ગઈ હતી.  

બોમ્બે ડોકયાર્ડ પર લાંગરેલા એચએમઆઈએસ અકબર, એચએમઆઈએસ હિંદુસ્તાન.
(નીચે) મુંબઈના કોલાબામાં એ છ દિવસના આંદોલનની યાદમાં મૂકેલું
ભારતીય સૈનિકનું પૂતળું અને છેલ્લે સ્વાતંત્ર્યસેનાની મદન સિંઘ 

આ ઘટનાના એકાદ મહિના પછી ૧૮મી ફેબ્રુઆરી, ૧૯૪૬ના રોજ બોમ્બે ડોકયાર્ડમાં તૈનાત 'એચએમઆઈએસ તલવાર' પર તૈનાત સૈનિકોએ હડતાળ પાડી. ત્યાં ફરજ બજાવતા મોટા ભાગના સૈનિકો સમાજના ઉચ્ચ વર્ગમાંથી આવતા હતા. તેમણે હડતાળ સુવ્યવસ્થિત રીતે ચલાવવા તાત્કાલિક એક સમિતિની પણ રચના કરી. એ સમિતિના પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકે લેફ્ટનન્ટ એમ. એસ. ખાન અને ટેલિગ્રાફિસ્ટ મદન સિંહની સર્વાનુમતે વરણી કરાઈ. આ હડતાળને બોમ્બે સહિત અનેક શહેરોમાં સામાન્ય લોકોનું પણ સમર્થન મળ્યું કારણ કે, બહાદુરીના પ્રતીક એવા ભારતીય સૈનિકોએ બ્રિટીશરો સામે અવાજ ઉઠાવ્યો હતો. સામાન્ય લોકો માટે તેઓ હીરો હતા, જેથી એ લોકોએ પણ સૈનિકોના સમર્થનમાં આખા મુંબઈમાં ઠેર ઠેર તોડફોડ અને આગચંપી કરી.

આ દરમિયાન સૈનિકોએ આઝાદ હિંદ ફોજના ધરપકડ કરાયેલા દસ હજાર સૈનિકોને છોડવાની માંગ સાથે બુચર આઈલેન્ડનો કબ્જો લઈ લીધો. ત્યાં બ્રિટીશ સેનાએ આખી બોમ્બે પ્રેસિડેન્સીનો દારૂગોળો સાચવ્યો હતો. આ ઘટનાના પ્રત્યાઘાત એટલા પ્રંચડ હતા કે, બોમ્બેની પશ્ચિમે ૮૮૦ કિલોમીટર દૂર કરાચીમાં ભારતીય સૈનિકોએ રોયલ ઈન્ડિયન નેવીના યુદ્ધજહાજ 'એચએમઆઈએસ હિંદુસ્તાન'નો રીતસરનો કબ્જો લઈ લીધો. કરાચીના મનોરા બિચ નજીકની બ્રિટીશ લશ્કરી છાવણીઓમાં પણ સૈનિકો હડતાળના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા. બે-ત્રણ દિવસમાં બોમ્બેની હડતાળ વધુ ઉગ્ર બનતા કરાચીમાં 'એચએમઆઈએસ બહાદુર' તેમજ 'હિમાલય' અને 'ચમક' નામના જહાજોમાં સૈનિકોએ 'એચએમઆઈએસ હિંદુસ્તાન' તરફ કૂચ શરૂ કરી અને ત્યાંના શસ્ત્રાગાર પર પણ કબ્જો કરી લીધો.

આ ક્રાંતિકારીઓમાં આનંદ બક્ષી નામનો એક ક્રાંતિકારી યુવાન સૈનિક પણ હતો, જે પાછળથી હિન્દી ફિલ્મોના ગીતકાર તરીકે પ્રસિદ્ધ થયા. એવી જ રીતે, કોલકાતા, વિઝાગ, મદ્રાસ અને કોચિનના રોયલ ઈન્ડિયન નેવી સ્ટેશનો પર પણ સૈનિકોએ દેખાવો કરીને બ્રિટીશરોને ભીંસમાં લીધા. બોમ્બે ડોકયાર્ડની સૈનિકોની એક સામાન્ય હડતાળમાં જોતજોતામાં ૨૦ હજાર ભારતીય સૈનિકો અને ૬૬ જહાજ જોડાઈ ગયા. આ આંદોલન ફક્ત છ દિવસ- ૨૩મી ફેબ્રુઆરી ૧૯૪૬ સુધી ચાલ્યું પણ ભારતના આઝાદીના આંદોલનમાં પ્રાણ ફૂંકવામાં તે મહત્ત્વનું સાબિત થયું.

સામાન્ય હડતાળે ઉગ્ર રૂપ કેવી રીતે ધારણ કર્યું?

આ આંદોલને થોડા કલાકોમાં જ ઉગ્ર રૂપ કેવી રીતે ધારણ કર્યું એ સમજવા ત્યારનો માહોલ જાણવો જરૂરી છે. આ આંદોલન માટે એકથી વધુ પરિબળો જવાબદાર હતા, પરંતુ આપણે મુખ્ય પરિબળોની વાત કરીશું. વાત એમ હતી કે, બીજી સપ્ટેમ્બર, ૧૯૪૫ના રોજ બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું હતું. એ ભીષણ યુદ્ધમાં ૨૫ લાખ ભારતીય સૈનિક બ્રિટીશ સેનાની આગેવાનીમાં જુદા જુદા દેશોમાં યુદ્ધ મોરચે ગયા હતા અને ૮૭ હજારથી વધુ સૈનિકે શહીદી વ્હોરી હતી. ભારતના અનેક સૈનિકોએ દેશદાઝથી પ્રેરાઈને નહીં પણ બ્રિટીશ સેનામાં નોકરી કરતા હોવાના કારણે યુદ્ધમાં લડવા જવું પડ્યું હતું. વિશ્વયુદ્ધ પછી સ્વદેશ આવેલા લાખો સૈનિકોને 'બ્રિટીશરોએ આપણો ઉપયોગ કરી લીધો' એવી લાગણી થઈ રહી હતી.

રોયલ ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવ્યા પછી હિન્દી ફિલ્મોના
ગીતકાર તરીકે કાઠું કાઢનારા આનંદ બક્ષી

આ કારણસર યુદ્ધ મોરચે જઈ આવેલા યુવાન સૈનિકોમાં અન્યાયી બ્રિટીશ શાસન પ્રત્યે અસંતોષ, અજંપો અને ગુસ્સો વધી રહ્યો હતો. વિશ્વ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે અછત સર્જાઈ હતી, જેથી જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કાપ મૂકાયો હતો. એ માહોલમાં સૌથી બદતર હાલત સૈનિકોની હતી. આ દરમિયાન ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની આગેવાનીમાં આઝાદીનું આંદોલન પણ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. લાખો યુવાનો કોંગ્રેસ સહિત અનેક નાના-મોટા જૂથોમાં આઝાદીના આંદોલનમાં વ્યસ્ત હતા અને મોટા ભાગના મજબૂરીના માર્યા બ્રિટીશ શાસનમાં નોકરીઓ કરતા હતા. યુવાનો પાસે જીવનની ચોક્કસ દિશા ન હતી.

અરાજકતાના એ માહોલમાં મોટા ભાગના ભારતીયો સ્વતંત્રતા માટે અધીરા બની ગયા હતા. ભારતીયોના દિલોદિમાગમાં 'આઝાદીથી ઓછું કશું નહીં' અને 'હિંદ છોડો'ના નારા છવાયેલા હતા. બ્રિટીશ સેનામાં ફરજ બજાવતા સૈનિકો પણ તેમાંથી બાકાત ન હતા. અહીં બીજી પણ એક મહત્ત્વની વાત નોંધવા જેવી છે. આ બળવો થયો તેના એકાદ મહિના પહેલા, જાન્યુઆરી 1946માં, રોયલ ઈન્ડિયન એરફોર્સના સંખ્યાબંધ બ્રિટીશ એરમેને બળવો (ભારતીય એરમેને નહીં, બ્રિટીશરોએ. બ્રિટીશરો સામે બ્રિટીશરોની લડાઈ બળવો જ કહેવાય) કરી દીધો હતો. એ બળવાના કારણે રોયલ ઈન્ડિયન નેવીના ભારતીય સૈનિકોને ઉચ્ચ બ્રિટીશ અધિકારીઓ સામે આંદોલન છેડવાનું પ્રોત્સાહન મળ્યું હતું. તત્કાલીન વાઇસરોય આર્ચિબાલ્ડ વેવેલે પણ આ વાતની સત્તાવાર નોંધ લીધી હોવાના પુરાવા છે.

રોયલ ઈન્ડિયન નેવીના સૈનિકોએ હડતાળ પાડીને કબ્જે કરી લીધેલા જહાજો પર કોંગ્રેસ, મુસ્લિમ લિગ અને કોમ્યુનિસ્ટ પાર્ટીના લાલ ધ્વજ એકસાથે ફરકતા હતા, પરંતુ ગાંધીજી, સરદાર પટેલ અને મોહમ્મદ અલી ઝીણાએ આ હડતાળ કડક શબ્દોમાં વખોડી કાઢી હતી.

હડતાળ સામ્યવાદીઓનું બહુ મોટું કાવતરું હતું?

રોયલ ઈન્ડિયન નેવીમાં બળવો થયો ત્યારે નેતાજીએ આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી દીધી હતી. એ દિવસોમાં રોયલ ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા સૈનિકો સહિત કોઇ પણ ભારતીય પાસેથી આઝાદ હિંદ ફોજનું સાહિત્ય મળે તો દેશદ્રોહનો કેસ ચલાવાતો. બોમ્બે ડોકયાર્ડમાં પણ બળવાખોર સૈનિકોએ સૌથી પહેલાં બી.સી. દત્ત નામના સૈનિકને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરી હતી. બી.સી. દત્ત પર પણ આઝાદ હિંદ ફોજનું સાહિત્ય રાખવાનો તેમજ સેનાના જહાજો પર છુપી રીતે 'જય હિંદ' અને 'ક્વિટ ઇન્ડિયા' જેવા સૂત્રો ચીતરી નાંખવાનો આરોપ હતો. જોકે, બ્રિટીશરોની સેનામાં તો બી. સી. દત્ત જેવા લાખો યુવાનો ઘૂસી ગયા હતા. કેવી રીતે? એ સમજીએ.

બીજા વિશ્વ યુદ્ધની શરૂઆતમાં બ્રિટીશરોએ બ્રિટીશ સેનામાં ખૂબ ઝડપથી જવાનોની ભરતી શરૂ કરી. આ સ્થિતિનો લાભ લઇને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતાઓએ, ૧૯૪૨થી ૧૯૪૫ વચ્ચે, એકસાથે હજારો યુવાનોની ભરતી કરવા બ્રિટીશરોને ભરપૂર મદદ કરી. આ સામ્યવાદી નેતાઓ પણ બ્રિટીશ ઈન્ડિયન આર્મી અને રોયલ ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા હતા. સામ્યવાદીઓનો હેતુ બ્રિટીશ સેનાની સાથે રહી નાઝી જર્મનીને હરાવવાનો હતો. આ કારણસર ૧૯૪૫માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી રોયલ ઈન્ડિયન નેવીના સૈનિકોની સંખ્યા ૧૯૩૯માં હતી તેના કરતા દસ ગણી વધી ગઈ હતી. જોકે, બીજું વિશ્વયુદ્ધ પૂરું થતાં બ્રિટીશ સેનામાં ફરજ બજાવતા લાખો ભારતીય સૈનિકો બ્રિટીશ શાસનના વિરોધી થઈ ગયા. વળી, હજારો સૈનિકો બ્રિટીશ સેના છોડીને સુભાષચંદ્ર બોઝે સ્થાપેલી આઝાદ હિંદ ફોજમાં જોડાઈ ગયા. આ કારણસર બ્રિટીશરોને લાગ્યું હતું કે, બ્રિટીશ શાસન સામે થયેલો ‘બળવો’ સામ્યવાદીઓનું કાવતરું છે.

લાલ કિલ્લા, દિલ્હીના સ્વાતંત્ર્ય સેનાની મ્યુઝિયમમાં મૂકેલી કર્નલ પ્રેમકુમાર સહગલ,
મેજર જનરલ શાહનવાઝ ખાન અને કર્નલ ગુરુબક્ષ સિંઘની તસવીર
‘રાગ દેશ’નું પોસ્ટર

એ વખતે દેશભરના ક્રાંતિકારી યુવાનોમાં આઝાદ હિંદ ફોજનું સાહિત્ય વાંચવાનો અને નેતાજીના ભાષણ સાંભળવાનો જુવાળ હતો. રોયલ ઈન્ડિયન નેવીના સૈનિકોની અત્યંત આક્રમક હડતાળ પાછળ આ કારણ પણ જવાબદાર હતું. રોયલ ઈન્ડિયન નેવીનો બળવો થયો ત્યારે બીજી પણ એક મહત્ત્વની ઘટના બની. બ્રિટીશ શાસને આઝાદ હિંદ ફોજના કર્નલ પ્રેમકુમાર સહેગલ, મેજર જનરલ શાહનવાઝ ખાન અને કર્નલ ગુરુબક્ષ સિંઘ ધિલોનને ઝડપીને કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી હતી. નેતાજીના આ ત્રણેય લશ્કરી અધિકારીઓ સામે 'બ્રિટીશ શાસન સામે યુદ્ધ છેડવાનો' તેમજ આઝાદ હિંદ ફોજની 'વિધ્વંસક પ્રવૃત્તિ'માં સામેલ થવાનો ગંભીર આરોપ મૂકાયો હતો. આ ત્રણેય ભારતીય સૈનિકો સામે લાલ કિલ્લાની અંદર અદાલતી ટ્રાયલ ચાલે ત્યારે બહાર હજારો લોકો તેમની એક ઝલક મેળવવા ભેગા થતાં. ભારતીયો માટે એ ત્રણેય અધિકારી 'દેશપ્રેમી' હતા, જેમણે અંગ્રેજ શાસન સામે અવાજ ઉઠાવ્યો હતો. આઝાદી ઈતિહાસ લખવામાં-ભણાવવામાં કંઈક એવી ગરબડ થઈ કે, આપણે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને યાદ રાખ્યા, પરંતુ આઝાદ હિંદ ફોજના આ ત્રણેય બહાદુરોને આપણે ભૂલી ગયા! શું એ માટે નેતાજીના કોંગ્રેસ સાથેના મતભેદો જવાબદાર છે?

ટૂંકમાં, આઝાદ હિંદ ફોજના એ ત્રણેય સૈનિકોના ટ્રાયલના કારણે બ્રિટીશરો સામે જબરદસ્ત લોકજુવાળ ઊભો થયો હતો. તિગ્માંશુ ધુલિયાની જુલાઈ ૨૦૧૭માં રિલીઝ થયેલી 'રાગ દેશ' ફિલ્મ આ જ ઘટના પર આધારિત છે.

ઉત્પલ દત્તને આંદોલન પરથી નાટક લખવા બદલ જેલ

રોયલ ઈન્ડિયન નેવીના સૈનિકોનું આંદોલન બ્રિટીશરો માટે 'બળવો' હતું, પરંતુ ભારતીય સૈનિકો માટે હક માટેનું આંદોલન કે અન્યાય સામેની લડાઈ હતું. આ આંદોલનના સમાચાર તત્કાલીન બ્રિટીશ વડાપ્રધાન કેલમેન્ટ એટલીને મળતા તેમણે રોયલ ઈન્ડિયન નેવીના કમાન્ડર જ્હોન હેનરી ગોડફ્રેને 'સૈનિકોનો બળવો' તાત્કાલિક ડામી દેવાનો આદેશ કર્યો. હેનરી ગોડફ્રે લશ્કરી નેવિગેશનના ખેરખાં હતા. જેમ્સ બોન્ડ જેવા મહાન પાત્રના સર્જક ઇયાન ફ્લેમિંગે બીજા વિશ્વયુદ્ધમાં નેવલ ઇન્ટેલિજન્સમાં હેનરી ગોડફ્રેના હાથ નીચે કામ કર્યું હતું. ફ્લેમિંગે કહ્યું હતું કે, મેં સર્જેલું જેમ્સ બોન્ડના બોસ 'એમ'નું પાત્ર હેનરી ગોડફ્રેથી પ્રેરિત છે.

(ક્લોકવાઈઝ) રોયલ બ્રિટીશ નેવીના કમાન્ડર જ્હોન હેનરી ગોડફ્રે, જેના પરથી
જેમ્સ બોન્ડના સર્જક ઇયાન ફ્લેમિંગે બોન્ડના બોસ ‘એમ’નું પાત્ર રચ્યું.
બોન્ડ જેવા જ ડેશિંગ લેખક ઇયાન ફ્લેમિંગ, પોતાને મજાકમાં બીજા મોઝાર્ટ
ગણાવતા ધુરંધર સંગીતકાર સલીલ ચૌધરી અને ઉત્પલ દત્ત


સલીલ ચૌધરીએ લખેલું અને સંગીતબદ્ધ કરેલું એ ગીત. 




રોયલ ઈન્ડિયન નેવીના આંદોલનનો ભારતના પોપ કલ્ચર પર ખાસ્સો પ્રભાવ પડ્યો હતો. હિન્દી, બંગાળી અને મલયાલમ ફિલ્મોના ધુરંધર સંગીતકાર સલીલ ચૌધરીએ રોયલ ઈન્ડિયન નેવીના આંદોલન પરથી પ્રેરણા લઈને 'ધેઉ ઉથ્ચે, કારા તુચ્છે' જેવું યાદગાર બંગાળી ગીત રચીને તેને સંગીતબદ્ધ પણ કર્યું હતું. સલમાન રશદીની ૧૯૯૫માં પ્રકાશિત 'ધ મૂર્સ લાસ્ટ સાઇ' નામની નવલકથામાં પણ આ આંદોલનનું વર્ણન આવે છે. હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા ઉત્પલ દત્તે આ આંદોલનમાંથી પ્રેરણા લઈને 'કલ્લોલ' નામનું નાટક લખ્યું હતું, જે ૧૯૬૫માં સૌથી પહેલીવાર ભજવાયું હતું. આ નાટક લખવા બદલ બ્રિટીશ ભારતના જૂનાપુરાણા ઈન્ડિયા ડિફેન્સ એક્ટ હેઠળ તેમની ધરપકડ થઈ, અને, કેટલાક મહિના જેલવાસ પણ ભોગવવો પડ્યો.

***

૧૮મી ફેબ્રુઆરીએ શરૂ થયેલું એ આંદોલન બ્રિટીશરોએ ૨૩મી ફેબ્રુઆરીએ સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધું. કોંગ્રેસ અને મુસ્લિમ લિગે પણ સૈનિકોની સમિતિને હડતાળ સમેટી લેવા દબાણ કર્યું. હડતાળ પૂરી થયેલી પણ જાહેર થઈ, પરંતુ 'બળવો' કરવા બદલ ૪૭૬ સૈનિકોને કોર્ટમાર્શલ કરાયા.

ત્યાં સુધી તો બધુ ઠીક હતું, પરંતુ દેશ આઝાદ થઈ ગયા પછી ભારત કે પાકિસ્તાની સેનામાં કોર્ટમાર્શલ કરાયેલા સૈનિકોને નોકરીઓ ના અપાઈ. કારણ કે, આઝાદ ભારતના ‘મહાન’ રાજકારણીઓ એ આંદોલનને 'બળવો' જ ગણતા હતા.

નોંધઃ ‘ટ્રિબ્યુન’ના એચજેએસ વારાઇચે લીધેલા મદન સિંઘના ઈન્ટરવ્યૂની લિંક.  
http://www.tribuneindia.com/2004/20040321/spectrum/main5.htm 
તેઓ આજે હયાત છે કે નહીં એ વિશે કમનસીબે કોઈ જ જાણકારી ગૂગલ પર મળતી નથી.

04 March, 2018

ખેડૂતોની આત્મહત્યાઓ માટે ભ્રષ્ટ બેંકો પણ જવાબદાર


ચાણક્યએ ચોથી સદીમાં 'અર્થશાસ્ત્ર' ગ્રંથમાં લખ્યું છે કે, જેવી રીતે માછલીઓ કેટલું પાણી પીએ છે એ જાણી ના શકાય. એવી જ રીતે, કર ઉઘરાવતા અધિકારીઓ કેટલો ભ્રષ્ટાચાર કરે છે એ જાણવું અશક્ય છે.

સદીઓ પહેલાં ચાણક્યે કરેલી આ વાત ભારતની ભ્રષ્ટ સરકારી બેંકોને પણ લાગુ પડે છે. બેંકોના ભ્રષ્ટ સરકારી બાબુઓ લોન તો બધાને આપે છે પણ પઠાણી ઉઘરાણી ફક્ત આમ આદમી અને ખેડૂતો પાસે જ કરે છે. વિજય માલ્યાઓ અને નીરવ મોદીઓ બિંદાસ દેશ છોડીને ભાગી જાય છે, વિદેશમાં બેશરમીથી જલસા કરે છે, પહેલાં બેંકો પાસેથી દાદાગીરી-છેતરપિંડીથી લોન લે છે અને પછી 'પૈસા નહીં મળે, થાય તે કરી લેજો' જેવી ધમકી પણ આપે છે, પરંતુ સામાન્ય માણસે કે ખેડૂતોએ દેવું થાય તો આત્મહત્યા કરવાનો જ વારો આવે છે. 

વિખ્યાત અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટે એકવાર કહ્યું હતું કે, બેંક એટલે એવી જગ્યા જે હવામાન સારું હોય ત્યારે છત્રી ખરીદવાની લોન આપે અને વરસાદ પડે ત્યારે પાછી લઈ લે. આ વાત પણ આમ આદમીને જ લાગુ પડે છે. વરસાદ ના પડતો હોય તો પણ ધનવાનોને છત્રીઓ આપવા આપણી સરકારી બેંકો હાજરાહુજુર જ છે. ભારતમાં બેંકિંગ સહિતની કોઈ પણ સરકારી સિસ્ટમના મોટા ભાગના સરકારી બાબુઓ સત્તા અને ધનના ચરણોમાં આળોટતા હોય છે, જ્યારે અભણ ખેડૂતો એકા લાખની લોન લેવા જાય ત્યારે સરકારી બાબુઓ જાતભાતના કાગળિયા માંગીને તેમની પાસે ત્રણેક હજાર રૂપિયાનો ખર્ચ કરાવી દે છે. જરા વિચારો. એક નાના ખેડૂતને લોન મળે છે તેના ત્રણ ટકા લોન મળતા પહેલા જ ખર્ચાઈ જાય છે. એ પણ કદાચ ઉધારી કરીને લાવ્યો હોય છે. સરકારને સલાહસૂચન આપતા નિષ્ણાતો તો આ આંકડો ક્યારેક દસ ટકાથી પણ વધારે હોવાની રજૂઆતો કરી ચૂક્યા છે.




આ આંકડામાં સરકારી કર્મચારીઓ-અધિકારીઓને ચૂકવાતું કમિશન પણ આવી ગયું. અહીં જમીનો બતાવીને ખેડૂત થયેલા રાજકારણીઓ અને સેલિબ્રિટી ખેડૂતોની નહીં પણ અસલી ખેડૂતોની વાત થઈ રહી છે. ખેડૂતોની આત્મહત્યાના જુદા જુદા સ્ટેટિસ્ટિક્સ પર નજર કરતા ખબર પડે છે કે, આત્મહત્યાઓ ક્યારેય જમીન માલિકો નહીં પણ નાના ખેડૂતો અને ખેતમજૂરો જ કરે છે. એમાંય ગ્રામીણ ભારતમાં વસતા ગરીબના હાલ શહેરોમાં વસતા ગરીબો કરતા અનેકગણા વધારે બદતર છે. જાવેદ અખ્તરે એક શેરમાં બહુ મોટી વાત કરી દીધી છે. તેઓ કહે છે કે, ‘‘ઊંચી ઇમારતો સે મકાં મેરા ઘિર ગયા, કુછ લોગ મેરે હિસ્સે કા સૂરજ ભી ખા ગયે.’’ બિલકુલ આવી જ રીતે, વિજય માલ્યાઓ અને નીરવ મોદીઓ એક ખેડૂતને મળનારો હિસ્સો હજમ કરી જાય છે અને ઓડકાર પણ ખાતા નથી. 

આજેય ગ્રામીણ ભારતનો ૪૯ ટકા વર્ક ફોર્સ સીધી અને આડતરી રીતે કૃષિ અર્થતંત્રમાંથી રોજગારી મેળવે છે, પરંતુ જીડીપીમાં કૃષિનો હિસ્સો માંડ ૧૭ ટકા છે. કૃષિ અર્થતંત્રની હાલત હજુ વધારે ખરાબ કરવામાં કરવામાં સરકારી બેંકોનો ભ્રષ્ટાચાર આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યો છે. એટલે ખેડૂતોની આત્મહત્યા માટે પણ સરકારી બેંકોના ભ્રષ્ટાચારને પણ જવાબદાર ઠેરવી જ શકાય. બેંકો પાસેથી લોન લઈને છેતરપિંડીના મહાકૌભાંડો બહાર આવે છે ત્યારે દલીલ કરાય છે કે, આ પ્રકારના કિસ્સા એકલદોકલ છે, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે, છેલ્લાં પાંચ જ વર્ષમાં સરકારી બેંકોને નહીં ચૂકવાયેલી લોનની રકમ રૂ. ૬૧ હજાર કરોડે પહોંચી ગઈ છે. સરકારી બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ (કે બેડ લોન્સ) સતત વધી રહી છે. બેંકોની આટલી મોટી રકમ કોણ હજમ કરી ગયું? તમારા મારા જેવા સામાન્ય લોકો નહીં પણ કોર્પોરેટ્સ. કરોડપતિઓને ગમે તેમ કરીને લોન છૂટી કરી આપવામાં ભ્રષ્ટ બેંકરોનો સાથ હોય છે અને લોન ચોરોને ભગાડી દેવામાં રાજકારણીઓનો સાથ હોય છે. ભારતને પછાત અને ભ્રષ્ટ દેશ રાખવામાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને સરકારી બાબુઓનું નેક્સસ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકની લોન આપવા બધા જ સરકારી બાબુઓને કમિશન આપ્યું હતું અને જે વચ્ચે પડ્યા તેમને ધમકાવીને ચૂપ કરી દીધા હતા. વિકસિત દેશોમાં બેંકોની બાગડોર સરકારી બાબુઓ નહીં પણ બેંકિંગ સિસ્ટમને સારી રીતે સમજતા બેંકરોના હાથમાં છે, જ્યારે આપણી સરકારી બેંકો પર સૂટબૂટમાં મહાલતા કમિશનબાજોનો કબજો છે. એટલે આજેય એક સરેરાશ ભારતીય એવું જ માને છે કે, બેંકો (અને બધા સરકારી વિભાગો) તો રાજકારણીઓ કે કરોડપતિઓના ખિસ્સામાં છે. ઓળખાણ જ સૌથી મોટી ખાણ છે. આ પ્રકારની નકારાત્મકતામાંથી એક સરેરાશ મધ્યમ વર્ગીય માણસના મનમાં એ વાત ઘર કરી ગઈ છે કે, રાજકારણીઓ અને સરકારી બાબુઓ કૌભાંડી છે અને ફક્ત આપણા પૈસે જલસા કરે છે. એટલે અમે ટેક્સ શેનો ભરીએ? ભારતીયો માટે ટેક્સ ચોરી એ ભ્રષ્ટાચાર નહીં પણ આવડત છે. આમેય, દેશમાં માંડ બે-ત્રણ ટકા નોકરિયાત વર્ગ જ ટેક્સ ભરે છે. કૃષિની આવક પર ટેક્સ નથી પણ તેના લાભ છેવાડા સુધી પહોંચ્યા નથી. ટૂંકમાં, આજેય ભારતનું કર માળખું જટિલ અને ખામીયુક્ત છે.

બેંકોની વાત પર પાછા ફરીએ. ઈન્દિરા ગાંધીએ ૧૯૬૯માં બેંકોનું સરકારીકરણ કર્યું ત્યારે પણ એ જ દલીલ કરાઈ હતી કે, કૃષિની આવક પર ટેક્સ નહીં હોવા છતાં ગ્રામીણ ભારતના ગરીબને તેના લાભ મળતા જ નથી. છેવટે ઈન્દિરા ગાંધીએ બેંકોનું સરકારીકરણ કર્યું. ખેર, એ નિર્ણય જે તે સમયે બરાબર હશે, પરંતુ સરકારી બેંકો પર 'સરકાર'નો પગદંડો મજબૂત બનતા ભ્રષ્ટાચાર પણ વધ્યો. ઈન્દિરા ગાંધીએ જે હેતુ માટે બેંકોનું સરકારીકરણ કર્યું તેના ફાયદા સામાન્ય માણસાને મળ્યા-ના મળ્યાં ત્યાં સુધીમાં તો સરકારી બેંકોના મેનેજમેન્ટમાં રાજકારણીઓ અને ભ્રષ્ટ સરકારી બાબુઓનો પંજો ફેલાઈ ચૂક્યો હતો. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ૧૯૯૧માં વડાપ્રધાન નરસિમ્હા રાવ અને નાણા મંત્રી મનમોહન સિંહે આર્થિક સુધારાના ભાગરૂપે બીજી પણ અનેક બેંકો શરૂ કરવા લાયસન્સ આપીને સરકારી બેંકોનું એકહથ્થું શાસન કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો.

જોકે, હથકંડાથી પણ સરકારી બેંકોના માથાના દુ:ખાવાનો સંપૂર્ણ ઈલાજ ના થયો. દેશના બહુ મોટા ગ્રામીણ વર્ગને ફાયદો પહોંચાડવામાં પણ સરકારી બેંકો સરેઆમ નિષ્ફળ ગઈ. ઓલ ઈન્ડિયા ડેબ્ટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટના આંકડા કહે છે કે, ખેડૂતોમાં જોખમી સ્રોતો પાસેથી ઉધારી લેવાનું, લોનો લેવાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. આ જોખમી એટલે આજના શાહુકારો. એવી પણ દલીલ છે કે, શાહુકારો પાસેથી લોન લેવાનું પ્રમાણ વધ્યું હોવાથી ખેડૂતોમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે કારણ કે, આ લોકો ખેડૂતો પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે, બેંકો નહીં. જોકે, એ દલીલ પણ અર્ધસત્ય છે. સરકારી બેંકો ખેડૂતોને લોન આપવામાં નિષ્ફળ ગઈ એટલે જ ખેડૂતો જોખમી સ્રોતો પાસે ઉધારી કરવા ગયા ને?

બીજા એક આંકડા પર નજર કરીએ. નેવુંના દાયકાના અંતમાં આર્થિક ઉદારવાદની શરૂઆત થઈ ત્યારે ગામડામાં વસતા ૧૩,૬૬૫ નાગરિકો દીઠ એક બેંક હતી. ત્યાર પછી ૨૦૦૪માં સરકારે કૃષિ ક્ષેત્રની લોન બેવડી કરવાની જાહેરાત કરી, પરંતુ ત્યાં સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત સરકારી બેંકોની ૯૦૦ શાખા બંધ થઈ ગઈ હતી. એ પછી યુપીએ સરકારે ૨૦૦૪થી ૨૦૧૨ વચ્ચે વિવિધ બેંકોની ૫૭૧૦ ગ્રામ્ય શાખા શરૂ કરી, તો ત્યાં સુધીમાં એક બેંકદીઠ ગ્રામીણ વસતી ૧૫ હજારે પહોંચી ગઈ હતી. કદાચ ગ્રામીણ ભારતને વધુને વધુ બેંકોની નહીં પણ અસરકારક બેંકોની વધારે જરૂર છે. ગ્રામીણ વિસ્તારોમાં સરકારી બેંકો નિષ્ફળ જવાનું કારણ પણ જાડી ચામડીના સરકારી બેંકરો જ છે. બેંકોના ઉચ્ચ સરકારી અધિકારીઓથી લઈને સામાન્ય કર્મચારી સુધી કોઈને ગામડામાં બેંકિંગ સિસ્ટમ મજબૂત કરવામાં રસ નથી. તેમને શહેરોમાં બેસીને ફક્ત મલાઈ ખાવી છે.

આજેય દેશમાં ત્રણ ચતુર્થાંશ લોકો પાસે ખૂબ જ ઓછી જમીન છે, જે નાના ખેડૂતો તરીકે ઓળખાય છે. આ લોકોને ખેતી માટે માંડ બે લાખની લોન જોઈતી હોય છે. ભારતમાં ટીપિકલ એગ્રિકલ્ચરલ લોનની મહત્તમ મર્યાદા આટલી જ છે. જોકે ૧૯૯૦ પછી તો એ રકમ પણ અડધી થઈ ગઈ છે. તમને નવાઈ લાગશે. ખેડૂતોય આ લોન લેવા તૈયાર નથી. બીજી તરફ, સરકારી બેંકો સિવાયના સ્રોતમાંથી અપાતી કૃષિ લોન ૧૯૯૦માં ૫.૭ ટકા હતી, જે ૨૦૧૧માં ૧૭.૭ ટકાએ પહોંચી ગઈ છે. ટૂંકમાં બેંકિંગ સિસ્ટમનો પ્રભાવ ગ્રામીણ ભારતમાં દિનપ્રતિદિન ઘટી રહ્યો છે. ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ એમ ચારેય રાજ્યોના ખેડૂતોને ૨૦૧૦માં અપાયેલી લોન કરતા છત્તીસગઢ અને દિલ્હીના ખેડૂતોને અપાયેલી લોનનો આંકડો વધારે હતો. દિલ્હીમાં ખેડૂતો? ટૂંકમાં જે વ્યક્તિ કાયદા પ્રમાણે ખેડૂતની વ્યાખ્યામાં ફિટ બેસે તેને ફક્ત લક્ષ્યાંકો પૂરો કરવા માટે લોન આપી દેવાય છે. આમ, ખરી જરૂરિયાત ધરાવતા ખેડૂતોને કૃષિ લોનનો લાભ જ નથી મળતો.

એવી જ રીતે, ૧૨ એકર જમીનની માલિકી ધરાવતો ખેડૂત જમીનોના કાગળિયાના રજૂ કરીને રૂ. એક લાખની લોન લઈ લે છે. આટલી લોન લેવા માટે ખેડૂતે બે એકરથી વધારે જમીન દર્શાવવી ના પડે. ટૂંકમાં, એક મોટો ખેડૂત બેંક રેકોર્ડ પર ફક્ત બે એકર જમીનની માલિકી દર્શાવીને લોન લઈ જાય છે. કાયદાકીય રીતે તે ગુનો નથી બનતો, પણ ૧૨ એકર જમીનનો માલિક બેંકના ચોપડે પોતાને નાનો ખેડૂત દર્શાવીને હકીકતમાં જે નાનો ખેડૂત છે, તેના હિસ્સાનું ખાઈ જાય છે. આ બધી જ મુશ્કેલીઓ માટે અનેક નિષ્ણાતો બેંકો સહિત તમામ સરકારી કંપનીઓના સંપૂર્ણ ખાનગીકરણનો વિકલ્પ રજૂ કરે છે કારણ કે, કેમેય કરીને સરકારી કંપનીઓમાં ભ્રષ્ટાચાર ઓછો થતો નથી. સરકારી કંપનીઓનું સંચાલન સારી રીતે થતું નથી અને એ માટે રાજકારણીઓની દખલગીરીથી માંડીને સરકારી બાબુઓની સરકારી માનસિકતા જેવા અનેક કારણો જવાબદાર હોઇ શકે છે.

હાલ, સરકારના જુદા જુદા મંત્રાલયો પાસે ૨૯૦ કંપની છે, જેમાંની ૨૩૪ સક્રિય કંપનીઓમાં પ્રજાના રૂ. ૧૭ લાખ કરોડનું રોકાણ છે. આ બધી કંપનીઓનું કુલ ઉત્પાદન માંડ રૂ. ૨૦ લાખ કરોડ છે, જ્યારે ૭૧ કંપની ખોટમાં ચાલે છે. આ બધી કંપનીઓનો કુલ નફો રૂ. દોઢ લાખ કરોડની આસપાસ છે. એટલે કે, કુલ રોકાણના માંડ છ-સાત ટકા. એવી જ રીતે, આ કંપનીઓની કુલ ખોટ રૂ. સવા લાખ કરોડ જેટલી છે. આ ખોટમાં સરકારી બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ કે બેડ લોન્સ ઉમેરો તો આંકડા ઘણે ઊંચે જાય. તેની સામે પ્રાઈવેટ બેંકોનું મેનેજમેન્ટ પ્રોફેશનલ બેંકરો કરે છે. એકલી એચડીએફસી બેંકનું મૂલ્ય એક ડઝન સરકારી બેંકોના કુલ મૂલ્ય જેટલું છે. જો એક પ્રાઈવેટ બેંક જડબેસલાક મેનેજમેન્ટ કરીને આગળ વધી શકે તો સરકારી બેંક કેમ નહીં? સરકારી બેંકોને ફક્ત ‘સરકારી લેબલ’નો ફાયદો મળે છે.

સરકારી બેંકોની ભરતીમાં પણ સરેઆમ ભ્રષ્ટાચાર થાય છે. આ પ્રકારની માથે પડેલી, માથાનો દુ:ખાવો બની ગયેલી અને દેશના વિકાસમાં ખાસ કોઈ યોગદાન નહીં આપનારી બેંકોનું ખાનગીકરણ થવું જ જોઈએ. ભ્રષ્ટ સિસ્ટમના કારણે થતી ખેડૂતોની આત્મહત્યાઓ હકીકતમાં હત્યા જ છે અને એ માટે ભ્રષ્ટ બેંકરો, રાજકારણીઓ અને મોટા ખેડૂતો સહિત બધા જ જવાબદાર છે.