યહ મિટ્ટી કી ચતુરાઈ હૈ, રૂપ અલગ ઔર
રંગ અલગ
ભાવ વિચાર તરંગ અલગ હૈ, ઢાલ અલગ હૈ
ઢંગ અલગ
આઝાદી હૈ જિસકો ચાહો, આજ ઉસે કર લો,
હોલી હૈ તો આજ અપરિચિત સે
પરિચય કર લો.
નિકટ હુએ તો બનો નિકટતર, ઔર નિકટતમ ભી
જાઓ,
રૂઢ-રીતિ કે ઔર નીતિ કે, શાસન સે મત
ઘબરાઓ,
આજ નહીં બરજેગા કોઈ, મનચાહી કર
લો.
હોલી હૈ તો આજ મિત્ર કો
પલકોં મેં ઘર લો.
પ્રેમ ચિરંતન મૂલ જગત કા, વૈર-ઘૃણા
ભૂલેં ક્ષણ કી,
ભૂલચૂક લેનીદેની મેં, સદા સફલતા
જીવન કી,
જો હો ગયા બિરાના ઉસકો
ફિર અપના કર લો,
હોલી હૈ તો આજ શત્રુ કો
બાંહો મેં ભર લો.
હોલી હૈ તો આજ અપરિચિત સે
પરિચય કર લો,
હોલી હૈ તો આજ મિત્ર કો
પલકોં મેં ઘર લો,
ભૂલ શૂલ સે ભરે વર્ષ કે
વૈર-વિરોધો કો,
હોલી હૈ તો આજ શત્રુ કો
બાંહો મેં ભર લો.
દેશના અત્યારના રાજકીય, સામાજિક અને
સાંસ્કૃતિક માહોલના શુદ્ધિકરણ માટે કવિ હરિવંશરાય બચ્ચનનો આ કાવ્યમય સંદેશ પવિત્ર
ગંગાજળ જેવું કામ કરી શકે એવો છે. ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યતાના કારણે તેમાં
સંઘર્ષનો વિશિષ્ટ રંગ ભળેલો છે. જોકે, આ સંઘર્ષ વચ્ચે ભારતનું વિવિધરંગી સાહિત્ય હજારો
વર્ષોથી ભારતની સાંસ્કૃતિક એકતા ટકાવવામાં ભરપૂર મદદ કરી રહ્યું છે. એ સાહિત્યનો રંગ સંસ્કૃત છે, હિન્દી છે
અને ઉર્દૂ પણ છે. ખાસ કરીને હોળીના સંસ્કૃત રંગે હિન્દી અને ઉર્દૂ રંગ પર જે ઘેરી
અસર કરી છે તે અત્યંત રસપ્રદ છે.
ઈતિહાસ સાક્ષી છે કે, આર્યો હોળી ઊજવતા હતા કારણ કે પુરાણોમાં સૌથી પ્રાચીન વિષ્ણુ પુરાણમાં પણ હોળીનો ઉલ્લેખ
છે. મહાભારતના રચયિતા વેદવ્યાસના શિષ્ય જેમિની ઋષિના મીમાંસા સૂત્રમાં પણ હોળીનો
ઉલ્લેખ છે. હિંદુ ધર્મના છ દર્શનમાંનું એક
એટલે મીમાંસા. એ સિવાયના પાંચ દર્શન અનુક્રમે ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ અને વેદાન્ત નામે ઓળખાય છે. નારદ પુરાણ અને
ભવિષ્ય પુરાણમાં પણ હોળીની ઉજવણીના ઉલ્લેખ છે. હિંદુ શાસ્ત્રના કુલ ૧૮ પુરાણોમાં
હિરણ્યકશિપુ અને પ્રહલાદ સિવાય શિવપાર્વતી, કૃષ્ણ પુતના વધ જેવી અનેક પૌરાણિક કથાઓ વાંચવા
મળે છે, જે ઘણી
જાણીતી છે.
આધુનિક સંસ્કૃત
સાહિત્યમાં હોળીના અનેક રૂપ જોવા મળે છે. શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણમાં રસોના સમૂહ ‘રાસ’ના વર્ણનોમાં
હોળીની ઉજવણીની વાત છે. ‘રાસ’ શબ્દનો ઉલ્લેખ ૧૩મી સદીના મહાન દાર્શનિક
નિમ્બાર્ક અને ચૈતન્ય મહાપ્રભુ (૧૪૮૬-૧૫૩૪)થી પણ બે હજાર વર્ષ પહેલાંના સાહિત્યમાં
છે. એ જ કાળની અનેક રચનાઓમાં ‘રંગ’ નામના તહેવારનો પણ ઉલ્લેખ છે. જેમ કે, ઉત્તર ભારતના
રાજા હર્ષવર્ધન (૫૯૦-૬૪૭) રચિત સંસ્કૃત નાટક ‘પ્રિયદર્શિકા’ અને ‘રત્નાવલી’માં રંગોનો તહેવાર ઊજવાતો હોવાની નોંધ છે. ઈસ.
પૂર્વે ચોથી સદીમાં થઈ ગયેલા કવિ કાલિદાસના ‘ઋતુસંહાર’ ખંડકાવ્યનો આખો એક ખંડનો વિષય જ હોળી છે. તેમના ‘કુમારસંભવમ્’ મહાકાવ્ય અને ‘માલવિકાગ્નિમિત્રમ’ નાટકમાં પણ
હોળીનો ઉલ્લેખ છે. છઠ્ઠી સદીના મહાન સંસ્કૃત કવિ ભારવિ અને ‘શિશુપાલવધ’ નામના
મહાકાવ્યના રચયિતા કવિ માઘે પણ વસંતોત્સવનો મહિમા કર્યો છે.
પૃથ્વીરાજ ચૌહાણના રાજકવિ
ચંદ બરદાઈ (૧૧૪૯-૧૨૦૦)એ ‘પૃથ્વીરાજ રાસો’માં હોળીનું વર્ણન કર્યું છે, જે હિન્દી
ભાષાનું પહેલું મહાકાવ્ય ગણાય છે. આ મહાકાવ્ય આધુનિક હિન્દીની પૂર્વજ એવી
સંસ્કૃતમય હિન્દીમાં આલેખાયું છે. ભક્તિકાળ પહેલાંના આદિકાલીન કવિ વિદ્યાપતિ
(૧૩૫૨-૧૪૪૮) મૈથિલી ભાષાના મહાન કવિ ગણાય છે, જેમના સાહિત્યમાં હોળીના પ્રસંગો આવે છે. આજની
બંગાળી, અસમી અને
ઉડિયા લિપિની માતા એટલે આ મૈથિલી ભાષા. જોકે, મૈથિલી ઉત્તર ભારતથી નેપાળ સુધીના વિસ્તારોમાં
બોલાતી હતી અને કાળાંતરે દેવનાગરી લિપિમાં લખાતી થઈ ગઈ. આજની બંગાળી, અસમી અને
ઉડિયા જેવી ભાષાનો વિકાસ વિદ્યાપતિને આભારી છે. આ કામ બદલ તેમની સરખામણી ઈટાલીના
મહાન કવિ દાંતે અને ઇંગ્લેન્ડના જ્યોફ્રી ચૌસર સાથે થાય છે. વિદ્યાપતિ સંસ્કૃતના
પ્રકાંડ પંડિત હોવાથી તેમની મૈથિલી ભાષાની કૃતિઓ પર સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ જોવા
મળે છે.
એ પછીનો ઈસ. ૧૩૭૫થી ઈસ.
૧૭૦૦ સુધીનો સમય ભક્તિકાળ તરીકે ઓળખાય છે. એ યુગ હિન્દી સાહિત્યનો સર્વોત્તમ સમય
ગણાવાયો છે કારણ કે, એ કાળમાં સૂરદાસ, રહીમ, સૈયદ ઈબ્રાહિમ રસખાન, મીરાબાઈ, કબીર, પદ્માકર અને
મોહમ્મદ મલિક જાયસી જેવા ઉત્તમોત્તમ હિન્દી સાહિત્યકારો થઈ ગયા. આ સાહિત્યકારોની
કૃતિઓમાં કૃષ્ણ,
વસંતોત્સવ અને હોળી ઉત્સવના વર્ણનો છે. સૂરદાસે હોળી વિશે
૭૮ પદ લખ્યા છે. પદ્યાકરે પણ હોળી વિશે ઘણું લખ્યું છે. રહીમે વ્રજ, અવધિ અને ખડી બોલીમાં ૧૧ સાહિત્યિક કૃતિ રચી છે. તેમણે
લખેલા ૩૦૦ દોહા ‘દોહાવલી’ નામના
પુસ્તકમાં સંગ્રહિત છે. રહીમે સંસ્કૃત અને ખડી બોલી મિશ્રિત ‘મદનાષ્ટક’ કૃતિમાં પણ ભગવાન
શ્રીકૃષ્ણ અને રાસલીલાનું વર્ણન કર્યું છે. તેમણે ‘બરવૈ’ નામના એક પુસ્તકમાં ૧૦૧ છંદ લખ્યા છે, જેનાથી
પ્રભાવિત થઈને તુલસીદાસે ‘બરવૈ રામાયણ’ રચ્યું હતું. આ પ્રસિદ્ધ કવિ રહીમ એટલે જ અકબરના નવ રત્નોમાંના એક વીર યોદ્ધા અબ્દુલરહીમ ખાનખાના. ગુજરાતના યુદ્ધમાં શૌર્ય દાખવવા બદલ અકબરે રહીમને ‘ખાનખાના’ની ઉપાધિ આપી હતી.
રસખાન પણ કૃષ્ણભક્તિના
રંગે રંગાયેલા મુસ્લિમ હિન્દી કવિ હતા, જે બાદમાં વૈષ્ણવ બની ગયા હતા. તેમણે ‘ભાગવત’નો ફારસીમાં
અનુવાદ કર્યો હતો. રસખાને તો સૂફીવાદને પણ ભગવાન કૃષ્ણના માધ્યમથી પ્રગટ કર્યો
હતો. કેટલું અદભુત! આજેય મથુરાના મહાવનમાં રસખાનની સમાધિ જોવા મળે છે. મોહમ્મદ
મલિક જાયસીએ ‘હોલીનામા’ નામની કૃતિ
રચી હતી. આ કૃતિ હાલ અપ્રાપ્ય છે. ચિશ્તી પરંપરાના ચોથા સંત હજરત નિઝામુદ્દીન
ઓલિયા (૧૨૩૮-૧૩૨૫)એ હોળી અને ફાગુન સાહિત્ય પર ઘણું લખ્યું છે. આ સાહિત્ય આજેય
હિંદુ-મુસ્લિમોમાં જાણીતું છે. તેમના શિષ્ય અમીર ખુસરોએ હિન્દી ખડી બોલી અને
ફારસીમાં હોળીની અનેક રચનાઓ લખી છે.
છેલ્લા મોગલ બાદશાહ
બહાદુરશાહ ઝફરના ઉર્દૂ સાહિત્યમાં પણ હોળીના ઉલ્લેખો છે. મોગળ કાળમાં ફાયઝ દેહલવી, મીર, ખ્વાજા હૈદર
અલી, ઈંશા, તાંબા અને
નઝીર અકબરાબાદી જેવા ઉર્દૂ કવિઓ-શાયરો થઈ ગયા. આ તમામે રાધાકૃષ્ણના પ્રેમનું સુંદર
વર્ણન કર્યું છે. ઈસ. ૧૭૦૦ની આસપાસના કાળમાં હિન્દી કાવ્યશાસ્ત્રનો વિકાસ કવિતાની
રીતિના આધારે થયો હોવાથી એ રીતિકાળ તરીકે ઓળખાય છે. આ યુગમાં પણ બિહારી, ધનાનંદ અને
કેશવ જેવા મહાન હિન્દી સાહિત્યકારો થઈ ગયા, જેમનો પ્રિય વિષય વસંતોત્સવ અને હોળી રહ્યો છે.
એ હિન્દી અને ઉર્દૂ હોળી સાહિત્યનું પ્રતિબિંબ આધુનિક હિન્દી સાહિત્યમાં પણ
ઝીલાયું છે. ફણીશ્વરનાથ રેણુની વિખ્યાત ‘રસપ્રિયા’, પ્રેમચંદની ‘હોલી કી
છુટ્ટિયા’ અજ્ઞોયની ‘મેજર ચૌધરી
કી વાપસી’ યશપાલની ‘હોલી કા મજાક’ અને નિર્મલ
વર્માની ‘ધૂપ કા એક
ટુકડા’ જેવી
કૃતિઆમાં હોળીનું જુદી જુદી રીતે વર્ણન કરાયું છે, તો કૈસ જોનપુરીની ‘હોલી બાદ
નમાજ’ જેવી કૃતિનું
નામ જ સામાજિક સૌહાર્દનો ભાવ પ્રગટ કરે છે. ફણીશ્વરનાથ રેણુની પહેલી કવિતા જ ‘સાજન હોલી આઈ
હૈ’ છે.
ભારતેન્દુ હરિશ્ચંદ્રે ‘ગલે મુજકો
લગા લો એ દિલદાર હોલી મેં’ અને ગિરીશ પંકજે ‘મન મેં રહે
ઉમંગ તો સમઝો હોલી હૈ’ જેવી સુંદર ગઝલો લખી છે. નિરાલાએ ‘ખૂન કી હોલી’ અને ‘વસંત આયા’ કવિતામાં
હોળીનું વર્ણન કર્યું છે. સૂર્યકાંત ત્રિપાઠી-નિરાલા, કવિ આર્ત, હરિવંશરાય
બચ્ચન, શિવદિન રામ
જોશી, શશિ પાધા, રસૂલ, અશોક ચક્રધર, મહેન્દ્ર
ભટનાગર, પૂર્ણિમા
વર્મન, રૂપચંદ
શાસ્ત્રી અને સુદર્શન વશિષ્ઠ જેવા સાહિત્યકારો પણ હોળીને ધ્યાનમાં રાખીને કવિતા
લખવાની લાલચ રોકી શક્યા નથી.
હોળી સાહિત્ય સંસ્કૃત, હિન્દી કે
ઉર્દૂ રંગથી ભીંજાયેલું છે એવી જ રીતે, ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી, કાશ્મીરી, અસમી, તમિલ, તેલુગુ અને મલયાલમ રંગમાં પણ રગદોળાયેલું છે. આ
ભાષાઓના હોળી સાહિત્યને પણ સંસ્કૃત, હિન્દી કે અન્ય ભાષાના સાહિત્યએ પ્રભાવિત
કર્યું હશે! જ્યાં સુધી ભાષાઓ એકબીજા સાથે આવી રીતે આપ-લે કરતી રહેશે ત્યાં સુધી
ભારતની સાંસ્કૃતિક એકતાને ઉની આંચ નહીં આવે એ વાતમાં કોઈ શંકા નથી!
નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે.
નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે.