27 January, 2014

બાંગ્લાદેશમાં બેગમોના યુદ્ધમાં સામાન્ય નાગરિકોનો મરો


હાલ બાંગ્લાદેશમાં શેખ હસીના સામે ગલીએ ગલીએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, રાજધાની ઢાકા સહિતના મોટા શહેરોમાં અમુદતની હડતાળો પડી રહી છે અને ‘રાજકીય નરસંહાર’ થઈ રહ્યો છે, પરંતુ આ સ્થિતિમાં અવામી લિગના વડા બેગમ શેખ હસીનાએ 12મી જાન્યુઆરીએ સતત ત્રીજી વાર વડાપ્રધાનપદ માટેના શપથ લઈ લીધા છે. શેખ હસીનાના કટ્ટર પ્રતિસ્પર્ધી બેગમ ખાલિદા ઝિયાનો આરોપ છે કે, જાન્યુઆરીમાં યોજાયેલી ચૂંટણીઓમાં બેગમ હસીનાના મંત્રીમંડળને આખા દેશમાંથી પાંચ ટકા મતો પણ મળ્યા નથી, તો પછી આ ચૂંટણીને ચૂંટણી કેવી રીતે કહી શકાય?” ખાલિદા ઝિયા હસીના સરકારને જ ગેરકાયદે ગણાવી રહ્યા છે. જોકે, ચૂંટણી કમિશન 40 ટકા મતદાન થયાનો દાવો કરી રહ્યું છે.

આ સંજોગોમાં બાંગ્લાદેશના સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે, શેખ હસીના સરકાર સામેનો વિરોધ સામાન્ય નથી પણ ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી સહિતના કુલ 18 પક્ષોના કાર્યકર્તાઓ હિંસક વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. ચૂંટણી કમિશનના અહેવાલ મુજબ, પાંચમી જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણીઓમાં અવામી લિગે 232 બેઠકો જીતી છે, જેમાંની 127 બેઠકો પર તેઓ બિનહરીફ ચૂંટાયા છે. કહેવાની જરૂર નથી કે, બિનહરીફ ચૂંટાયેલા તમામ સભ્યો અવામી લિગ અને તેના કુલ 18 સાથી પક્ષોના છે. શેખ હસીનાએ સરકાર રચવા માટે સાથી પક્ષોની મદદથી ગઠબંધનનો આશરો લેવો પડ્યો છે. પરંતુ ખાલિદા ઝિયાની આગેવાનીમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાથી પશ્ચિમી દેશોની રાબેતા મુજબની દખલગીરી શરૂ થઈ ગઈ છે.

જમાત-એ-ઈસ્લામી અને અવામી લિગના કાર્યકરો વચ્ચે મૂઠભેડ

પશ્ચિમી દેશોના વિરોધ વચ્ચે પણ બેગમ શેખ હસીનાનું વલણ અક્કડ છે. આ ચૂંટણીની કાયદેસરતા સામે પ્રશ્નાર્થ ઉઠાવી રહેલા ખાલિદા ઝિયા તો ઠીક અમેરિકા સહિતના દેશોને બેગમ શેખ હસીનાએ રોકડું પરખાવી દેતા કહ્યું હતું કે, ‘શટ અપ એન્ડ નેગોશિયેટ’. જો ચૂંટણી કમિશનના આંકડા મુજબ, ચૂંટણીમાં 40 ટકા મતદાન થયું હોય તો પણ તે બાંગ્લાદેશની અત્યાર સુધીની કુલ દસ ચૂંટણીમાં થયેલું સૌથી ઓછું મતદાન છે. દેશની ડામાડોળ રાજકીય પરિસ્થિતિનો દોષ તેઓ બેગમ ખાલિદા ઝિયાના હિંસક વિરોધ પ્રદર્શનોને આપી રહ્યા છે. આ મુદ્દે અમેરિકાએ બીજી વાર ચૂંટણી કરવાનું સૂચન કર્યું છે, પણ શેખ હસીના ગમે તેવા વિકટ સંજોગોમાં પણ આ સૂચન ના સ્વીકારે એ વાતમાં કોઈ શંકા નથી. યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી જનરલ બાન કી મૂને અવામી લિગ અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની ટીકા કરતા કહ્યું છે કે, બંને પક્ષોએ વાટાઘાટો કરીને આગળ વધવું જોઈએ. આ ઉપરાંત બ્રિટન અને કેનેડાએ આ ચૂંટણીને ગેરકાયદે ગણાવી છે.

આ મુદ્દે ભારત હંમેશાંની જેમ વધુ પડતી સાવચેતી રાખીને આગળ વધી રહ્યું છે. ભારતે ચાલાકીપૂર્વક કહ્યું છે કે, આ ચૂંટણી એ ‘બંધારણીય જરૂરિયાત’ હતી અને તે ‘બાંગ્લાદેશની આંતરિક બાબત’ છે. પરંતુ આ હિંસક વિરોધ પ્રદર્શનોની આડમાં જમાત-એ-ઈસ્લામી જેવા કટ્ટરપંથી જૂથો લઘુમતી હિંદુઓ પર અત્યાચાર કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓની વસતી ધરાવતા સાથખીરા, દિનાજપુર અને જેસોર જિલ્લાઓના અનેક ગામોમાંથી હજારો હિંદુઓને હિજરત કરવી પડી છે. અત્યારે પણ હજારો હિંદુ વિસ્થાપિતોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યા છે. બાંગ્લાદેશની એક કરોડ, એંશી લાખની વસતીમાં દસ ટકા વસતી હિંદુઓની છે. આમ છતાં, ભારત સરકારે હિંદુઓની સુરક્ષા માટે કોઈ જ પ્રયત્નો નહીં કરીને પોતાની કાયરતાનું પ્રદર્શન કર્યું છે.

શેખ હસીના

ખાલિદા ઝિયા 

અમેરિકા સહિતના પશ્ચિમી દેશો તો તેમના સ્વાર્થ ખાતર બાંગ્લાદેશના રાજકારણમાં દખલગીરી કરી રહ્યા છે. અહીં પણ અમેરિકાને પોતાની કહ્યાગરી સરકાર જોઈએ છે. અમેરિકા સહિતના દેશોમાંથી બાંગ્લાદેશને વાર્ષિક ધોરણે ત્રણ બિલિયન ડૉલરની નિયમિત આર્થિક મદદ મળી રહી છે. બાંગ્લાદેશ સરકાર આ રકમ ગરીબી નાબૂદી અને અન્ય વિકાસકાર્યો પાછળ ખર્ચે છે. એક મત પ્રમાણે બાંગ્લાદેશમાં મજબૂત લોકશાહી ટકાવી રાખવાનો ઢોંગ કરીને અમેરિકા બેગમ ખાલિદા ઝિયા અને તેમના સાથી પક્ષોના હિંસાચારમાં આડકકતરી મદદ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મીડિયાની મદદથી કોઈ દેશ વિરુદ્ધ આક્રમક કુપ્રચાર કરીને દબાણ ઊભું કરવું અથવા અન્ય દેશોને સાથે રાખીને કોઈ દેશને અપાતી આર્થિક મદદ બંધ કરીને બ્લેકમેઇલિંગ કરવાના કાવાદાવા અમેરિકા માટે નવી વાત નથી. બીજી તરફ, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને અન્ય સાથી પક્ષો સત્તા મેળવવાના સ્વાર્થમાં રાજકીય અરાજકતા સર્જી રહ્યા છે.

નવેમ્બરમાં ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી બાંગ્લાદેશમાં આ સ્થિતિ છે અને હજુ લાંબો સમય આ સ્થિતિ રહી તો દેશનું અર્થતંત્ર ડામાડોળ થઈ શકે છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને તેના સાથી પક્ષોના કાર્યકર્તાઓ  દેશના હાઈ-વે, રેલવે ટ્રાન્સપોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની ફરજ પાડી રહ્યા છે. બાંગ્લાદેશની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી સાઠ લાખ લોકોને રોજગારી આપે છે. દેશની મોટા ભાગની આવક ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાંથી મેળવવામાં આવે છે, પરંતુ આ ક્ષેત્રની પ્રવૃત્તિ પણ મંદ પડી ગઈ છે. દેશની અનેક મોટી ફેક્ટરીઓમાં હડતાળોના કારણે કાચો માલ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે દેશનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હોવાથી તૈયાર માલની ડિલિવરીમાં પણ મુશ્કેલી પડી રહી છે.

દેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનોના કારણે ફુગાવાનો આંકડો 7.35 ટકાએ પહોંચી ગયો છે, જે ગયા ડિસેમ્બરમાં ફક્ત 0.2 ટકા હતો. બાંગ્લાદેશના ઉદ્યોગગૃહો રાજકીય સંજોગો સુધરે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો આ સ્થિતિમાં ઝડપથી સુધારો નહીં થાય તો ઉદ્યોગગૃહો ‘કોસ્ટ કટિંગ’ કરીને ફેક્ટરીઓ બંધ કરવાન ચીમકી આપી રહ્યા છે. બેગમ શેખ હસીના આ ત્રાસવાદી અભિયાન અને આતંકવાદ માટે ખાલિદા ઝિયાના સાથી પક્ષ જમાત-એ-ઈસ્લામીને જવાબદાર ઠેરવી રહ્યા છે. વર્ષ 1971માં બાંગ્લાદેશની મુક્તિ માટે થયેલા કરાયેલી ચળવળમાં જમાત-એ-ઈસ્લામીએ ક્રૂરતાપૂર્વક નરસંહાર કર્યો હતો. આ આંતરિક યુદ્ધમાં આશરે દસ લાખ લોકોના મોત થયા હતા. આ ચળવળમાં હિંસાચારની આગેવાની લેનારા જમાત-એ-ઈસ્લામીના આગેવાનો સામે શેખ હસીના સરકારે વર્ષ 2010માં અદાલતી કાર્યવાહી શરૂ કરી હતી. હજુ 13મી ડિસેમ્બરે જ જમાતના વરિષ્ઠ આગેવાન અબ્દુલ કાદર મોલાને ‘વૉર ક્રાઈમ કોર્ટ’ના હુકમ પ્રમાણે ફાંસીએ લટકાવી દેવાયા હતા. બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતે ઓગસ્ટમાં જમાત-એ-ઈસ્લામીને ગેરકાયદે જાહેર કર્યું હતું અને આ સંગઠનના સભ્યોને ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો હતો. 

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, વૉર ક્રાઈમ કોર્ટની સંપૂર્ણ કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી શેખ હસીના સરકાર નવેસરથી ચૂંટણીઓ જાહેર કરે એવી કોઈ શક્યતા નથી. બાંગ્લાદેશની બંને બેગમો માટે ચૂંટણીઓનો બહિષ્કાર કરવો એ નવી વાત નથી. આ પહેલાં પણ વર્ષ 1988માં ખાલિદા ઝિયાએ જનરલ હુસૈન મહોમ્મદ ઈર્શાદની આપખુદ સરકાર દ્વારા યોજાયેલી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તો વર્ષ 1996માં શેખ હસીનાએ ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો અને એ વખતે બાંગ્લાદેશના વડાપ્રધાનપદે ખાલિદા ઝિયા હતા. જ્યારે નવેમ્બર 2013માં બાંગ્લાદેશ સરકારે વર્ષ 2014ની ચૂંટણીઓ જાહેર કરી ત્યારે ખાલિદા ઝિયાએ ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા તટસ્થ કામચલાઉ સરકારનું સૂચન કર્યું હતું. જોકે, આ સૂચન શેખ હસીનાએ ફગાવી દીધું હતું.

જોકે, હવે શેખ હસીના સરકારે વાટાઘાટો કરવા થોડું નરમ વલણ અપનાવ્યું છે, અને ખાલિદા ઝિયાએ પણ સ્વીકાર્યું છે કે, “આ મડાગાંઠ ઉકેલવા વાતચીત સિવાય કોઈ વિકલ્પ નથી.” પરંતુ બેગમ ઝિયાએ બિનસત્તાવાર ‘હાઉસ એરેસ્ટ’માંથી મુક્તિ મળે એ પછી જ વાતચીત માટે આગળ વધવાની શરત મૂકી છે. હવે, દુનિયાની નજર શેખ હસીના પર છે. પરંતુ એક વાત નક્કી છે કે, આ રાજકીય યુદ્ધમાં સૌથી વધુ ભોગ બાંગ્લાદેશના નિર્દોષ નાગરિકોનો જ લેવાઈ રહ્યો છે.

નોંધઃ તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

21 January, 2014

કોષોની સામૂહિક આત્મહત્યા એઈડ્સ નોંતરે છે


તાજેતરમાં જ સમાચાર હતા કે, એઈડ્સ વિજ્ઞાનીઓએ ‘સંપૂર્ણ સાજા કરી દીધેલા’ બે દર્દીના શરીરમાં ફરી એકવાર હ્યુમન ઈમ્યુનોડિફિસિયન્સી વાયરસે (એચઆઈવી) દેખા દીધી છે. અમેરિકન વિજ્ઞાનીઓએ લિમ્ફોમા અને એઈડ્સથી પીડાતા બે દર્દીઓને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની મદદથી એચઆઈવી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. સંશોધકોએ કેન્સરની સારવાર તરીકે બંને દર્દીઓનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું અને તેમને એચઆઈવી કાબૂમાં રાખવાની પણ દવાઓ અપાતી હતી. શરીરમાં ખૂબ નીચા સ્તરે રહેલા એચઆઈવીને પણ શોધી કાઢે એવી ટેક્નોલોજીથી વિજ્ઞાનીઓએ તપાસ કરી હોવાથી તેમને આશા હતી કે, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દીઓમાંથી એચઆઈવી સંપૂર્ણ નાબૂદ થઈ ગયો હશે. પરંતુ થોડા જ વર્ષોમાં એચઆઈવીએ ફરી એકવાર ઉથલો મારતા સંશોધકોનો આશ્ચર્ય થયું છે. આ પ્રયોગ સાથે સંકળાયેલા અગ્રણી વિજ્ઞાની અને અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસર સ્ટિવન ડિક્સે કહ્યું છે કે, અમને નિષ્ફળતા મળી છે પણ હવે એચઆઈવી વિશે અમે પહેલાં કરતા વધારે જાણીએ છીએ.

આ બંને દર્દીઓનું નામ જાહેર નથી કરાયું પણ વિજ્ઞાનીઓનું કહેવું છે કે, બંને દર્દીઓ ‘તંદુરસ્ત’ છે અને તેમની એચઆઈવીની સારવાર ફરી એકવાર ચાલુ કરાઈ છે. આજે અહીં આપણે એઈડ્સના હઠીલા વાયરસ વિશે જાણીશું. એચઆઈવી અન્ય રોગો સામે લડવા જરૂરી રોગપ્રતિકારક તંત્રને સંપૂર્ણપણે પાંગળુ બનાવી દે છે. એચઆઈવીના કારણે આપણું શરીર નબળાં જીવાણુઓ સામે પણ હથિયાર હેઠાં મૂકી દે છે અને સામાન્ય ચેપ પણ ખતરનાક પુરવાર થઈ શકે છે. એટલે કે, સામાન્ય શરદી પણ મૃત્યુ નોંતરી શકે છે અને સામાન્ય ટ્યુમર પણ વધુને વધુ મોટું થઈ શકે છે. આ સ્થિતિ એઈડ્સ તરીકે ઓળખાય છે. વર્ષ 1981માં વિજ્ઞાનીઓ એઈડ્સને ઓળખી કાઢ્યો હતો અને હવે 30 વર્ષથી પણ વધારે સમય પછી વિજ્ઞાન એચઆઈવીને સમજવાની કોશિષ કરી રહ્યું છે.

એચઆઈવી કેવી રીતે કામ કરે છે?

એચઆઈવી અનેક પ્રકારના રક્તકણોને ચેપ લગાડી શકે છે પણ સૌથી વધુ નુકસાન સીડી4-ટી (CD4 T) નામના કોષોને કરે છે. રોગપ્રતિકાર તંત્રમાં આ કોષો ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. આ કોષો બીજા કોષોને પણ લડવામાં મદદ કરે છે અને વાયરસને મારવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. હ્યુમન ઈમ્યુનોડેફિસિયન્સી વાયરસ આ ‘ટી’ કોષોને જ ધીમે ધીમે મારવાનું શરૂ કરે છે. એચઆઈવીના હુમલા પછી પણ 95 ટકા ‘ટી’ કોષો ચેપમુક્ત હોય છે, પરંતુ ધીમે ધીમે બધા જ ખતમ થઈ જાય છે. આ કોષોની ‘સામૂહિક આત્મહત્યા’ પછી એઈડ્સના લક્ષણો દેખાવાનું શરૂ થાય છે. એચઆઈવી અત્યાર સુધી 35 લાખ માણસોનો ભોગ લઈ ચૂક્યો છે. એચઆઈવીથી લોકો મૃત્યુ કેમ પામે છે એ જાણવા ‘ટી’ કોષો ધીમે ધીમે આપમેળે ખતમ કેમ થઈ જાય છે એ જાણવું પડે. પરંતુ હજુ સુધી વિજ્ઞાન આ રહસ્ય જાણી શક્યું નથી. વિજ્ઞાનીઓ એ જાણવા માગે છે કે, ‘ટી’ કોષોને એચઆઈવીથી નુકસાન ના થયું હોય તો પણ તેઓ તબક્કવાર મરી કેમ જાય છે?

વૉર્નર ગ્રીન

અમેરિકાની ગ્લેસ્ટોન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરલોજી એન્ડ ઈમ્યુનોલોજીના વિજ્ઞાની વૉર્નર ગ્રીન અને તેમની ટીમે આ રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. તેમનું કહેવું છે કે, એચઆઈવી ‘ટી’ કોષોને મદદ કરતા કોષોને પહેલાં ચેપ લગાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ સફળ ન થતા તેમને મારી નાંખે છે. આ સંશોધન પેપરો ‘સાયન્સ’ અને ‘નેચર’ જર્નલમાં પણ છપાઈ ચૂક્યા છે. એચઆઈવી સીડી4 સાથે જોડાઈને આરએનએ (RNA)ના રૂપમાં જનીનિક મટિરિયલ છોડે છે, જે ડીએનએમાં પરિવર્તિત થઈનો કોષના વંશસૂત્ર (જિનોમ)માં પ્રવેશે છે. હવે કોષનું વિભાજન થાય છે ત્યારે તે પોતાના જનીનોની અને ચેપી ડીએનએને પણ નકલ કરે છે. પરંતુ અત્યાર સુધી નિષ્ક્રિય રહેલા સીડી4 કોષો ડીએનએમાં આરએનએ છુપાવવાનું શરૂ કરે છે. પરિણામે સંપૂર્ણ એચઆઈવી જિનોમનું સર્જન થવાના બદલે ડીએનએના નાના નાના ટુકડા કોષોમાં વહેંચાઈ જાય છે. આ સ્થિતિમાં કોષ પાસે સંપૂર્ણ ચેપી ડીએનએ હોતા નથી અને એટલે ચેપ આગળ વધી શકતો નથી.

તાજા સંશોધનો શું કહે છે?

વૉર્નર ગ્રીન અને તેમની ટીમનું સૂચન છે કે, સીડી4 કોષોમાં કેટલાક સેન્સર મૂકીને નુકસાન પામેલા ડીએનએ શોધી શકાય છે. એકવાર આવા ડીએનએ ઓળખાઈ જાય પછી તેઓ આપમેળે ખતમ થઈ જાય એવો પ્રોગ્રામ બનાવવો શક્ય છે. ગ્લેડસ્ટોન ઈન્સ્ટિટ્યુટના જ વિજ્ઞાની કેથરિન મનરો નામના વિજ્ઞાનીએ આવા સેન્સર તૈયાર કર્યા છે. આ સેન્સરનો તેઓ સફળ પ્રયોગ પણ કરી ચૂક્યા છે. આ દરમિયાન પ્રો. મનરોએ ઘણાં પ્રયોગો કર્યા, પરંતુ તેમાં સૌથી મહત્ત્વનો પ્રયોગ આઈએફઆઈ 16 (IFI16) નામના પ્રોટીનને લગતો હતો. મનરોએ નિષ્ક્રિય સીડી4 કોષોમાંથી આ પ્રોટીન દૂર કર્યું ત્યારે ચેપી ડીએનએના ટુકડા સાથે કોઈ પ્રક્રિયા ના થઈ, આ કોષોનું મૃત્યુ પણ ના થયું.

એનો અર્થ એ છે કે, આઈએફઆઈ16ને એન્ટિવાયરલ ડીએનએસ સેન્સર તરીકે વિકસિત કરી શકાય છે. આ ઉપરાંત એક એવો પણ પ્રોગ્રામ ડિઝાઈન કરી શકાય છે જે અન્ય કોષોને ચેપ લગાડે એ પહેલાં જ ચેપી કોષોનો ખાતમો બોલાવી દે. પરંતુ મુશ્કેલી એ છે કે, એચઆઈવી આઈએફઆઈ16ને પણ ધીમે ધીમે નિષ્ક્રિય કરી દે છે. આ પ્રોટીનને પણ વાયરસ સામે લડવામાં કોઈ મદદ મળતી નથી. આવી સ્થિતિમાં ક્યારેક કોષો સામૂહિક આત્મહત્યા કરે છે, જે પ્રક્રિયા વૈજ્ઞાનિક ભાષામાં ‘એપોપ્ટોસિસ’ તરીકે જાણીતી છે. બાદમાં કોષો સંકોચાય છે અને વિભાજિત થાય છે અને તેમના વ્યવસ્થિત પાર્સલ તૈયાર થાય છે, જેને દૂર કરવાનું કામ સાફસફાઈ કરતા કોષો (ક્લિનર સેલ)નું છે. આ કોષો ધીમે ધીમે મૃત્યુ પામે છે.

કેટલાક વિજ્ઞાનીઓ માને છે કે, આ કોષોનું મૃત્યુ ખૂબ હિંસક રીતે થાય છે, જે પ્રક્રિયા વૈજ્ઞાનિક ભાષામાં ‘પાયરોપ્ટોસિસ’ તરીકે ઓળખાય છે. તેઓ સંકોચાતા નથી પણ ફૂલે છે. તેમના પડદા ફાટી જાય છે અને તેમની લાળ બહાર આવી જાય છે. આ દરમિયાન ઈન્ટરલ્યુકેમિન-1 બિટા જેવા બચી ગયેલા અણુઓ સીડી4 કોષોને ચેપ લગાડવાનું કામ આગળ વધારે છે. આ વિષચક્ર સતત ચાલુ રહે છે. એચઆઈવી થોડા ઘણાં સીડી4 કોષોને ચેપ લગાડે છે ત્યારે પાયરોપ્ટોસિસની પ્રક્રિયા થાય છે. આ દરમિયાન પેદા થયેલા ચેપી પદાર્થો સીડી4ને ચેપ લગાડે છે ત્યારે ‘વિસ્ફોટક આત્મહત્યા’ થાય છે અને આ મૃત્યુ પછી વધુ કેટલાક કોષોને ચેપ લાગે છે. વૉર્નર ગ્રીન અને તેમની ટીમ માને છે કે, સીડી4-ટી કોષો ખતમ થવા પાછળ આવું વિષચક્ર જ જવાબદાર હોઈ શકે છે.

પાયરોપ્ટોસિસને વધુ સમજીને જ આપણે સમજી શકીશું કે, એચઆઈવી માણસને જ કેમ એઈડ્સનો શિકાર બનાવે છે. વિવિધ વાંદરાની પ્રજાતિમાં જોવા મળતો એચઆઈવીનો રિલેટિવ વાયરસ એસઆઈવી (સિમિયન ઈમ્યુનોડેફિસિયન્સી વાયરસ) ભાગ્યે જ તેને ચેપ લગાડે છે. એસઆઈવી સીડી4  કોષોને સીધેસીધા ખતમ કરી શકે છે, પરંતુ વાંદરાઓના કોષો ક્યારેય સામૂહિક આત્મહત્યા કરતા નથી. હા, તેઓ થોડા ઘણાં કોષોને મારે છે પણ વાંદરાઓનું રોગપ્રતિકારક તંત્ર તૂટતું નથી. વાંદરાઓને આ શક્તિ ઉત્ક્રાંતિકાળમાં મળી છે. વૉર્નર ગ્રીનનું કહેવું છે કે, એચઆઈવીનો ઉકેલ આમાં જ છે. આપણે વાયરસને કાબૂમાં રાખવાના નહીં પણ એચઆઈવી કોષો સાથે જે પ્રક્રિયા કરે છે તે અટકવવાનો પ્રયાસ કરવો જોઈએ.

ડૉ. ગ્રીન અને તેમની ટીમે પાયરોપ્ટોસિસ માટે જવાબદાર અણુઓ પણ શોધી કાઢ્યા છે. આ પ્રક્રિયામાં કેસપેસ-1 નામનું પ્રોટીન પણ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે. હવે ફાર્માસ્યુટિકલ કંપનીઓ એઈડ્સના ઉપચાર માટે એવી દવા શોધી રહી છે જે આ પ્રોટીનને જ બ્લોક કરી દે. હાલ એચઆઈવીના દર્દીઓને અપાતી એન્ટિ-વાયરલ સારવાર વખતે વાયરસને કાબૂમાં રાખવાનો પ્રયાસ થાય છે, પણ કેસપેસ-1 પ્રોટીનને બ્લોક કરી દેવામાં સફળતા મળે તો માણસનું રોગપ્રતિકારક તંત્ર એચઆઈવીને પ્રતિભાવ આપવાનું જ બંધ કરી દેશે. વિજ્ઞાનીઓને આશા છે કે, નજીકના ભવિષ્યમાં તેનો પણ ઉકેલ પણ મળી જશે.

એઈડ્સમાંથી સાજી થનારી કદાચ એકમાત્ર વ્યક્તિ

ટિમોથી રે બ્રાઉન
ટિમોથી રે બ્રાઉન મૂળ અમેરિકાના વૉશિંગ્ટનનો રહેવાસી છે. વર્ષ 1995માં ટિમોથીના બ્લડ રિપોર્ટમાં એચઆઈવી હોવાનું માલુમ પડ્યું હતું. ત્યાર પછી ટિમોથીને એઈડ્સની સારવાર આપવાનું ચાલુ કરાયું હતું. જોકે, વર્ષ 2006માં ટિમોથીને એક્યુટ માયલોઈડ લ્યુકેમિયા (લોહીનું કેન્સર) હોવાનું માલુમ પડ્યું. ત્યાર પછી બર્લિનની ચાર્લિટ હોસ્પિટલના ફિઝિશિયન ડૉ. ગેરો હુટરે ટિમોથીનું હેમેટોપોઇટિક સ્ટે સેલ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય કર્યો. આ માટે ડૉ. હુટરે રક્તકણોમાં સીસીઆર5 ડેલ્ટા32 સિક્વન્સ ધરાવતો દાતા શોધ્યો હતો. પશ્ચિમી યુરોપિયન દેશોમાં આ પ્રકારનું જનીનિક બંધારણ ધરાવતા લોકોની સંખ્યા વધારે છે. મોટે ભાગના એચઆઈવી સીસીઆર5 નામના જનીની મદદ વિના માનવ કોષમાં પ્રવેશી શકતા નથી. ટિમોથીને વર્ષ 2009 સુધી એચઆઈવી કાબૂમાં રાખવાની દવાઓ અપાતી હતી, અને તેના શરીરમાં સીડી4-ટી કોષોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ એચઆઈવીનું સ્તર નીચે આવતું ગયું. ત્યાર પછી તબીબોએ નિદાન કર્યું કે, હવે કદાચ ટિમોથીને એચઆઈવી કાબૂમાં રાખવાની દવાઓ લેવાની જરૂર નથી. આ સમાચાર ‘ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં પ્રસિદ્ધ થતાં જ ટિમોથી રે બ્રાઉન ‘બર્લિન પેશન્ટ’ના નામે આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગયો હતો. જોકે, આજે પણ ટિમોથીએ એચઆઈવીને કાબૂમાં રાખવાની સામાન્ય સારવાર ચાલુ રાખી છે, પણ એવું કહેવાય છે કે તે હવે સાજો થઈ ગયો હોઈ શકે છે. વર્ષ 2012માં ટિમોથી એચઆઈવી સંશોધન માટે એક ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી હતી. ટિમોથીના કેસ પછી જ વિશ્વના અનેક વિજ્ઞાનીઓને ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિની મદદથી એચઆઈવી દૂર કરવાની દિશામાં વિચારવાની પ્રેરણા મળી હતી.

09 January, 2014

અવકાશ વિજ્ઞાનઃ ભારતનો શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે

હજુ ગયા વર્ષના નવેમ્બરમાં જ ભારતે અવકાશમાં સફળતાપૂર્વક મંગળયાન મોકલીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું, અને હજુ નવા વર્ષનું માંડ પહેલું અઠવાડિયું પૂરું થયું છે ત્યાં જ ભારતીય વિજ્ઞાનીઓએ શ્રીહરિકોટાથી  જિયોસ્ટેશનરી સેટેલાઈટ લૉન્ચ વ્હિકલ (જીએસએલવી)-ડી5ની મદદથી અવકાશમાં જીસેટ-14 નામના સંદેશાવ્યવહાર ઉપગ્રહને તરતો મૂકી દીધો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભારતે અવકાશમાં ઉપગ્રહ તરતો મૂકવાનું કામ ક્રાયોજેનિક રોકેટની મદદથી કર્યું છે. એક સમયે ભારતને રશિયા પાસેથી આ ટેક્નોલોજિકલ મદદ મળતી હતી પણ અમેરિકાના આડોડાઈના કારણે નેવુંના દાયકામાં તે બંધ થઈ ગઈ હતી. આ ઘટના પછી ઈસરોના વિજ્ઞાનીઓએ ઘરઆંગણે જ ક્રાયોજેનિક ટેક્નોલોજી વિકસાવવાનો નિર્ણય લીધો હતો, જેનું ઝળહળતું પરિણામ આપણી સામે છે.

ભારતીય વિજ્ઞાનીઓએ વિકસાવેલી ક્રાયોજેનિક એન્જિન ટેક્નોલોજીથી સજ્જ જીએસએલવી-ડી5 રોકેટે ઉડાન ભર્યાની 17મી મિનિટે 1,982 કિલોનો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો હતો. 161 ફૂટ ઊંચુ અને 640 ટન વજન ધરાવતું જીએસએલવી-ડી5 રોકેટ ભારતમાં બનેલું સૌથી વજનદાર રોકેટ છે. હજુ પણ વિકાસશીલ દેશોની હરોળમાં આવતા ભારત જેવા દેશ માટે સ્વાભાવિક રીતે આ બહુ મોટી સિદ્ધિ છે. કારણ કે, રશિયાએ ક્રાયોજેનિક એન્જિન ટેક્નોલોજી આપવાનું બંધ કર્યું એ પછી છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતના ત્રણ જીએસએલવી મિશન નિષ્ફળ રહ્યા છે. આ પહેલાં પણ ભારતીય વિજ્ઞાનીઓ રશિયાએ આપેલા સાતમાંથી છ ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કર્યો હતો પણ એ ટેક્નોલોજી રશિયન વિજ્ઞાનીઓએ વિકસાવેલી હતી. જ્યારે જીએસએલવી-ડી5માં ઉપયોગમાં લેવાયેલી ક્રાયોજેનિક ટેક્નોલોજી ઈસરોના વિજ્ઞાનીઓએ વિકસાવી છે. આ સિદ્ધિ પછી ભારત જેવો ‘ગરીબ’ દેશ અમેરિકા, રશિયા, ફ્રાંસ, ચીન અને જાપાનની એલિટ ક્લબમાં સામેલ થઈ ગયો છે.

ક્રાયોજેનિક એન્જિનથી સજ્જ જીએસએલવી- ડી5

ભારતે વર્ષ 1960માં પોતાની ટેક્નોલોજી વિકસાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ખરું કામ વર્ષ 1992માં રશિયાની મદદ મળવાનું સંપૂર્ણ બંધ થયું એ પછી શરૂ થયું હતું. આ વીસ વર્ષોમાં ઈસરો પાસે વિજ્ઞાનીઓ અને એન્જિનિયરોની એક આખી નવી પેઢી આવી ગઈ છે અને આ મહાન સિદ્ધિમાં તેમનો પણ ફાળો છે.  આજે તમામ વિકસિત દેશો અવકાશ વિજ્ઞાનને લગતા સંશોધનોનું બજેટ દિન-પ્રતિદિન વધારી રહ્યા છે. આગામી વર્ષોમાં વૈશ્વિક વેપારી માળખામાં ટકી રહેવા અને દેશમાં સંદેશાવ્યવહારનું માળખું સાબૂત રાખવા માટે કૃત્રિમ ઉપગ્રહો અનિવાર્ય છે. જીસેટ-14ની મદદથી દેશના ખૂણેખૂણામાં ડિજિટલ ઓડિયો બ્રોડકાસ્ટિંગ સહિતની સંદેશાવ્યવહાર ટેક્નોલોજીમાં મદદ મળશે. જીસેટ-14નું આયુષ્ય બારેક વર્ષનું રહેશે અને તે છેલ્લાં દસ વર્ષથી અવકાશમાં તરી રહેલા જીસેટ-3 (એજ્યુસેટ)નું સ્થાન લેશે.

એજ્યુસેટ પણ સંદેશાવ્યવહારનો જ ઉપગ્રહ હતો, જે વર્ષ 2004માં અવકાશમાં તરતો મૂકાયો હતો. જોકે, આ ઉપગ્રહનો ઉપયોગ ફક્ત શિક્ષણને લગતા સંદેશાવ્યવહાર માટે કરવાનો હોવાથી તેને એજ્યુસેટ (એજ્યુકેશન સેટેલાઈટ) નામ અપાયું હતું. શિક્ષણ ક્ષેત્ર માટે તૈયાર કરાયેલો આ ભારતનો પહેલો ઉપગ્રહ હતો. જોકે, આ ઉપગ્રહનું કામ ખાસ કરીને ડિસ્ટન્સ એજ્યુકેશન સિસ્ટમ માટે હતું. એજ્યુસેટ સપ્ટેમ્બર 2010માં નિષ્ક્રિય થઈ ગયો હતો અને ત્યાર પછી તેનું સ્થાન બીજા કોઈ ઉપગ્રહે લીધું ન હતું. જીએસએલવી સિરિઝના રોકેટ સંદેશાવ્યવહારના ભારેખમ ઉપગ્રહોને સહેલાઈથી ઉચકીને વિષુવવૃત્તથી 36 હજાર કિલોમીટર ઉપર લઈ જઈ શકે છે. આટલી ઊંચાઈએ ઉપગ્રહ અને પૃથ્વીની ગતિ વચ્ચે તાલમેલ રહે છે અને પરિણામે પૃથ્વી પરથી ઉપગ્રહ સ્થિર દેખાય છે. આ સ્થિતિમાં પૃથ્વી પરથી ટેકનિકલ રીતે સીધાસાદા અને ઓછા ખર્ચાળ એન્ટેનાથી કામ ચાલી જાય છે. જીસેટ-14 આખા ભારતને આવરી લેશે અને તેની મદદથી દેશના ગામેગામમાં ઈન્ટરનેટ સહિતની સેવા પૂરી પાડવાનો હેતુ પણ પાર પાડી શકાશે.

ક્રાયોજેનિક જીએસએલવી રોકેટથી ઉપગ્રહ છોડવાનો ખર્ચ પણ અત્યાર સુધી રૂ.300થી 500 કરોડ જેટલો થઈ જતો હતો. કારણ કે, આ માટે વિદેશી ક્રાયોજેનિક એન્જિન કે લૉન્ચ પેડનો ઉપયોગ કરવો પડતો હતો. ભારતીય વિજ્ઞાનીઓએ આ આખું મિશન રૂ. 360 કરોડમાં પાર પાડી દીધું છે. ઈસરોના વડા કે. રાધાકૃષ્ણને ખાતરી આપી છે કે, હવે જીસેટ-14 જેવા ચારથી પાંચ ટન વજન ધરાવતા ઉપગ્રહો મોકલવાનો ખર્ચ પણ રૂ. 100 કરોડથી વધારે નહીં થાય. ભારતીય વિજ્ઞાનીઓએ ‘ઓછા ખર્ચે ઉત્તમ ટેક્નોલોજી’ વિકસાવીને બેવડો ફાયદો મેળવ્યો છે. આ સિદ્ધિથી અમેરિકા, રશિયા જેવા દેશો તેમજ યુરોપિયન સ્પેસ એજન્સીને પણ આશ્ચર્ય થયું છે. ભારતને ક્રાયોજેનિક ટેક્નોલોજી ના મળે એમાં અમેરિકાને ખાસ રસ હતો. કારણ કે, ભારતની સફળતાની સીધી અસર તેના બિઝનેસ ઈન્ટરેસ્ટ પર થતી હતી. જીએસએલવીની સફળતા પછી ભારત મહદ્અંશે આત્મનિર્ભર થઈ ગયું છે.

છેલ્લાં ઘણાં સમયથી ભારતીય વિજ્ઞાનીઓ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે એક પછી એક સફળતા મેળવી રહ્યા છે.  ઈસરોના વિજ્ઞાનીઓ ચંદ્રયાન-2 પહેલાં હજુ બીજા બે જીએસએલવીનો ઉપયોગ કરવાના છે. હ્યુમન સ્પેસ ફ્લાઈટ લૉન્ચ કરવા તેમજ પરિભ્રમણ કરતું સ્પેસ સ્ટેશન બાંધવા માટે જીએસએલવી-માર્ક થ્રીની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લાં કેટલાક વર્ષોથી ઈસરો સસ્તી સ્પેસ પ્રોડક્ટ્સ અને સસ્તી સર્વિસ ઑફર કરી રહી છે, જે વિદેશી સ્પેસ એજન્સીઓને પણ આકર્ષે છે અને હવે તેઓ પણ પોતાના સ્પેસ મિશન ભારતમાં આઉટસોર્સ કરવા ઈચ્છે છે. પોલર સેટેલાઈટ લૉન્ચ વ્હિકલ અને જીએસએવીના કારણે ભારતની ઉપગ્રહ લૉન્ચ કરવાની ક્ષમતામાં અત્યંત મજબૂત થઈ ગઈ છે, અને તેનો ખર્ચ પણ બીજા દેશો કરતા 35 ટકા જેટલો ઓછો આવે છે.

આશા રાખીએ કે, ટેક્નોલોજીની મદદથી દેશમાં સંદેશાવ્યવહાર અને શિક્ષણનો વ્યાપ હજુ વધે અને તેનો લાભ દેશના સામાન્યમાં સામાન્ય માણસને મળે.

ક્રાયોજેનિક એન્જિન શું છે?

ક્રાયોજેનિક રોકેટ એન્જિન ક્રાયોજેનિક ફ્યૂલ એટલે કે ખૂબ નીચું તાપમાન ધરાવતા બળતણથી ચાલતું હોય છે. ક્રાયોજેનિક (નીચું તાપમાન ધરાવતું) બળતણ ઓક્સિડાઈઝર તરીકે પણ ઓળખાય છે. ક્રાયોજેનિક એન્જિનમાં ઓક્સિજન અને હલકા હાઈડ્રોકાર્બનના મિશ્રણનો બળતણ તરીકે ઉપયોગ કરાય છે. ઓક્સિજનને કે હાઈડ્રોજનને પ્રવાહી સ્વરૂપમાં લાવવા માટે અત્યંત ઠંડા તાપમાનની જરૂર હોય છે, જ્યારે રોકેટને અવકાશ સુધી પહોંચવા માટે ભારે ગરમીની જરૂર પડે છે. આ જટિલ ટેક્નોલોજી વિકસાવવા અત્યાર સુધી વિવિધ તત્ત્વોના મિશ્રણોનો પ્રયોગ કરાઈ ચૂક્યો છે, પરંતુ અત્યારે ક્રાયોજેનિક એન્જિનમાં પ્રવાહી ઓક્સિજન અને પ્રવાહી હાઈડ્રોજનનો મહત્તમ ઉપયોગ થાય છે.

તૃતીય વિશ્વયુદ્ધ અકસ્માતે શરૂ થઈ શકે છે


શું દુનિયામાંથી યુદ્ધનો ભય ક્યારેય સંપૂર્ણપણે નાબૂદ થશે ખરો? આ સવાલનો જવાબ પણ ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં?- એ સવાલ જેટલો જ અઘરો થઈ ગયો છે. એક સમયે એવું મનાતું હતું કે, હવેના યુદ્ધ મેદાનો કે આકાશમાં નહીં પણ વેપારની દુનિયામાં લડાશે. 21મી સદીના યુદ્ધોમાં તોપગોળાના અવાજો ઓછા સંભળાશે અને છતાં હારેલા દેશને વધુ નુકસાન જશે. આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાતોનું માનવું છે કે, છેલ્લાં એક દાયકામાં વૈશ્વિક સ્તરે થયેલી ઉથલપાથલો દર્શાવે છે કે, વિશ્વમાં ગમે ત્યારે તૃતીય વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને આ વખતનું વિશ્વયુદ્ધ પણ દ્વિતિય વિશ્વયુદ્ધની જેમ એશિયામાંથી શરૂ થશે અને એ માટે ઈતિહાસ ચીન કે જાપાનને જવાબદાર ઠેરવશે.

ભારત જેવા ‘સોફ્ટ કન્ટ્રી’ સાથે પણ ચીને છેલ્લાં એક દાયકામાં ઘણું અક્કડ વલણ દાખવ્યું છે. ચીને ભારત સાથેની દક્ષિણ પશ્ચિમી સરહદો પર વારંવાર હક્ક જમાવવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે ચીને જાપાન સાથેની પૂર્વીય દરિયા કિનારાના આકાશમાં હજારો ચોરસ કિલોમીટરના એરસ્પેસને પોતાનો એર ડિફેન્સ ઝોન જાહેર કરી દીધો છે. આ વિસ્તારમાં આઠ ટાપુઓથી બનેલા સેનકાકુ નામના વિસ્તાર પર પણ ચીને દાવો કર્યો છે. આ ટાપુઓ પર તાઈવાન પણ દાવો કરી રહ્યું છે, પરંતુ વર્ષ 1971માં અમેરિકાએ અહીંના વહીવટી હક્ક જાપાનને આપ્યા હતા અને ચીન ભારે ગુસ્સે થયું હતું. કારણ કે, વર્ષ 1968માં માલુમ પડ્યું હતું કે, આ વિસ્તારના પેટાળમાં ખનીજતેલનો જથ્થો હોવાની સંભાવના છે.

વિવાદાસ્પદ સેનકાકુ વિસ્તારના કેટલાક ટાપુઓ 

ચીનનો દાવો છે કે, આ વિસ્તાર 14મી સદીથી ચીનનો હિસ્સો છે. આ આઠ ટાપુઓનો વિસ્તાર ચીનની સંસ્કૃતિમાં દિઆયુ નામે જાણીતો છે. અમેરિકાએ યુનાઈટેડ સ્ટેટ્સ સિવિલ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ રયુક્યુ આઈલેન્ડ્સ હેઠળ વર્ષ 1945થી 1972 સુધી આ વિસ્તારનો વહીવટ કર્યો હતો. બાદમાં અમેરિકા અને જાપાને ઓકિનાવા રિવર્સન એગ્રિમેન્ટ હેઠળ તેનો વહીવટ જાપાનને સોંપી દીધો હતો. સ્વાભાવિક રીતે જ ચીન જેવું રાષ્ટ્ર અમેરિકાની આવી ગુસ્તાખી સહન ના કરે. ચીને સેનકાકુ પર દાવો કરતા જાપાન તો ઠીક અમેરિકા સહિતના જાપાનના મિત્ર રાષ્ટ્રોના પેટમાં તેલ રેડાયું છે અને ફરી એકવાર વર્ચસ્વની ‘શાંત લડાઈ’ ચાલુ થઈ ગઈ છે, જે સમગ્ર વિશ્વને અકસ્માતે વિશ્વયુદ્ધ તરફ લઈ જાય એટલી ગંભીર બની શકે છે. આ ટાપુઓ ફ્રી એર ઝોન છે એવું દર્શાવવા અમેરિકાએ અહીંના આકાશમાં બે બોમ્બર વિમાનો ઉડાડીને પણ ચીનને આડકતરી ધમકી આપી છે.

ચીને યુદ્ધ જેવી સ્થિતિ માટે જાપાનને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, “જાપાન વૈશ્વિક શાંતિ માટે ગંભીર મુશ્કેલી છે અને તે પોતાની યુદ્ધખોર માનસિકતા બતાવીને વિશ્વયુદ્ધને ઝડપથી નજીક લાવી રહ્યું છે...” જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે આ ઘટનાને ચીનની નવી ‘ગેમ’ ગણાવતા ધમકી આપી છે કે, ચીનનું એક પણ ડ્રોન આ વિસ્તારમાં દેખાશે તો જાપાન તેને ફૂંકી મારશે. આ નિવેદનને ગંભીરતાથી લઈને ચીને અમેરિકા સહિતના દેશોને જણાવ્યું છે કે, જો યુદ્ધ થશે તો તે માટે સંપૂર્ણપણે જાપાન જ જવાબદાર હશે! જોકે, ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ સહિતની અનેક સંસ્થાઓનું માનવું છે કે, ખરેખર ચીન સહિતનો કોઈ પણ દેશ યુદ્ધ નથી ઈચ્છતો. અત્યારે ચીન ફક્ત દબાણ ઊભું કરવા માટે આવું વર્તન કરતું હોઈ શકે છે. આમ છતાં જાપાન, અમેરિકા, ચીન તેમજ યુરોપ-એશિયાના દેશો આ મુદ્દે ચિંતિત છે.

જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબ

હાલ સમગ્ર વિશ્વ એકબીજા સાથે વેપારી સંબંધો ધરાવે છે, જેનાથી તમામ દેશોને પરસ્પર ફાયદો થઈ રહ્યો છે. કદાચ એટલે જ જાપાન, ચીન અને અમેરિકા એકબીજા સાથે હજુ પણ સૌજન્યપૂર્વકનો વ્યવહાર કરી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે, ચીન અમેરિકામાં અબજો ડૉલરનું દેવું ધરાવે છે. અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે, બે દેશો એકબીજાની તાકાતનો અંદાજ કાઢવામાં થાપ ખાઈ જાય છે અને એ ખોટી ગણતરીના કારણે જ યુદ્ધની સ્થિતિનું નિર્માણ થાય છે. વર્ષ 1914માં વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે બ્રિટન અને જર્મની એકબીજાના સૌથી મોટા વેપારી ભાગીદારો હતા. કદાચ એટલે જ અમેરિકાની નેવલ વૉર કોલેજના પ્રોફેસર પીટર ડટને જાપાન-ચીન મુદ્દે અમેરિકન સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે, “હાલના દરિયાઈ નીતિનિયમોને ચીનનો પડકાર વૈશ્વિક શાંતિમાં નાનું ગાબડું પાડી શકે છે.” ટૂંકમાં વિશ્વયુદ્ધ ફાટી નીકળે એવી સ્થિતિ ના સર્જાય તો પણ નાની-મોટી ખુવારી થાય તો નવાઈ નહીં. પરંતુ આવી સ્થિતિ વૈશ્વિક સ્તરે અશાંતિ પેદા કરી શકતી હોવાથી અમેરિકન સરકારે હંમેશાની જેમ આ મુદ્દો અત્યંત ગંભીરતાથી લીધો છે.

પ્રો. પીટર ડટને તો ત્યાં સુધી કહ્યું છે કે, “અમેરિકાની સૌથી મોટી ચિંતા અલ-કાયદા જેવા આતંકવાદી સંગઠનો નહીં પણ ‘લાંબી રેસના ઘોડા’ જેવું ચીન છે. ચીન બીજા દેશના જોખમે એશિયામાં તેનો મિલિટરી પાવર વધારી રહ્યું છે.” હાલ ચીન સતત તેની મિસાઈલ શક્તિ વધારી રહ્યું છે. ચીન પાસે એંશી યુદ્ધ જહાજો તેમજ જળ-જમીન પરથી હુમલા કરી શકે એવા 300 જેટલા જહાજો છે. આ ઉપરાંત ચીને અમેરિકન નેવીનો સામનો કરવા અનેક જહાજોને ‘કેરિયર કિલર’ તરીકે ડિઝાઈન કર્યા છે. ચીનની શક્તિ જોઈને જ પેસિફિક સમુદ્રમાં અમેરિકાએ પોતાના એરફોર્સ બેઝને દસ બિલિયન ડૉલરના ખર્ચે અપગ્રેડ કરવાની ફરજ પડી હતી. આ બેઝ પર અમેરિકા એર-ટુ-સર્ફેસ, ક્રૂઝ મિસાઈલ, હૉક ડ્રોન અને ફાઈટર પ્લેનોથી સજ્જ હોય છે, જ્યાંથી ખૂબ ઓછા સમયમાં ચીન પર હુમલો કરવો શક્ય છે.

આ સ્થિતિને અનેક નિષ્ણાતો જાપાન અને ચીનની નહીં પણ અમેરિકા-ચીનના કૉલ્ડ વૉર તરીકે જોઈ રહ્યા છે. અમેરિકા જગત જમાદાર બનવા માટે યુરોપ, એશિયા અને આફ્રિકાના નાનામાં નાના દેશના રાજકાજમાં ચંચુપાત કરે છે. બીજી તરફ, ચીન પણ પોતાને સુપરપાવર સાબિત કરવા સતત એવું દર્શાવે છે કે, તે વિશ્વમાં અમેરિકા સહિતના કોઈ પણ રાષ્ટ્રને તાબે નથી થતું. અમેરિકાની સુપરપાવર તરીકે ટકી રહેવાની અને ચીનની સુપરપાવર બનવાની આ ઈચ્છા કદાચ વૈશ્વિક શાંતિ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ સ્થિતિ ભારત માટે પણ વિશિષ્ટ છે. એનડીએ સરકારના કાર્યકાળથી ભારત-અમેરિકાના સંબંધોમાં ઘણો સુધારો થયો છે અને પાકિસ્તાન સાથેનો ‘મોહભંગ’ થયા પછી એશિયામાં ‘સંતુલન’ ઊભું કરવા અમેરિકા ભારતને વ્યૂહાત્મક મદદ કરી રહ્યું છે. બીજી તરફ, 9/11ની ઘટના, ઈસ્લામિક આતંકવાદનો ફેલાવો અને ચીનના અક્કડ વલણને કારણે પણ અમેરિકાનો ભારત તરફનો ઝોક વધ્યો છે. વર્ષ 2010માં પણ ઓબામા સરકારે પેસિફિક સમુદ્રમાં ‘વ્યૂહાત્મક સંતુલન’ ઊભું કરવા મહત્ત્વના નિર્ણયો લીધા હતા.

આંતરરાષ્ટ્રીય સંબંધોના વિશ્લેષકોના મતે, અમેરિકાએ ચીન સામે વ્યૂહાત્મક લડાઈ તો ક્યારનીય ચાલુ કરી દીધી છે. અમેરિકા વિશ્વ સમક્ષ સતત એમ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, અમેરિકા અને તેના મિત્રરાષ્ટ્રોમાં લોકશાહી છે, અહીં માનવાધિકારોની વાત થાય છે અને આંતરરાષ્ટ્રીય કાયદા-કાનૂની છે, પરંતુ ચીનમાં આપખુદશાહી પ્રવર્તે છે, જ્યાં માનવાધિકારો કે આંતરરાષ્ટ્રીય કાયદા-કાનૂનની સ્થિતિ પણ ખાડે ગઈ છે. વૈશ્વિક મીડિયામાં ચીન વિરુદ્ધના આ સૂરમાં અમેરિકાના વ્યૂહાત્મક યુદ્ધનો ધ્વનિ સાંભળી શકાય છે. અમેરિકાને પેસિફિક સમુદ્રમાં પણ વર્ચસ્વ જોઈતુ હોવાથી તે જાપાનને મદદ કરી રહ્યું છે. જ્યારે ચીનની દલીલ છે કે, પેસિફિક સમુદ્રમાં ચીનની દરિયાઈ સરહદો નજીક અમેરિકાના યુદ્ધજહાજો અને વિમાનો દ્વારા થતી દેખરેખને અમે કેવી રીતે સહન કરી શકીએ? આ કામ સેટેલાઈટ ટેક્નોલોજીની મદદથી પણ થઈ શકતું હોવા છતાં અમેરિકા અહીં એરબેઝ ઊભો કરીને શું સાબિત કરવા માગે છે? આ ઉપરાંત અમેરિકન સૈનિકો અહીં પરેડ કરીને પણ ચીનના સન્માન પર તરાપ મારે છે.

આંતરરાષ્ટ્રીય કૂટનીતિના કેટલાક પશ્ચિમી નિષ્ણાતોએ પણ ચીનની દલીલો સ્વીકારતા કહ્યું છે કે, અનેક પશ્ચિમી દેશોએ ચીનનું સદીઓ સુધી શોષણ કર્યું છે. કદાચ એટલે જ પશ્ચિમી દેશો તરફના ચીનના વલણમાં ફેરફાર થવાનો અવકાશ નથી. જ્યાં સુધી શક્તિશાળી દેશો વર્ચસ્વ જમાવવાની લાલચ છોડીને નિસશસ્ત્રીકરણની પ્રક્રિયામાં આગળ નહીં વધે ત્યાં સુધી દુનિયામાંથી યુદ્ધનો ખતરો ટળવાનો નથી. કમનસીબે, બે વિશ્વયુદ્ધો પછી પણ વિશ્વભરના દેશોમાં મિલિટરી બજેટ વધી રહ્યું છે, જે દર્શાવે છે કે તમામ દેશો વચ્ચે અવિશ્વાસની ખાઈ વધુને વધુ પહોળી થઈ રહી છે.

નોંધઃ પહેલી તસવીર ગૂગલ પરથી લીધી છે.